'શિવાલિક' બાદ 'નંદા દેવી' જહાજ ગુજરાતના કિનારે પહોંચ્યું, સંકટ વચ્ચે હજારો મેટ્રિક ટન LPGની આયાત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

LPG Tanker Nanda Devi Reaches Gujarat Coast: દેશમાં છેલ્લા કેટલાક સમયથી વર્તાઈ રહેલી ગેસની અછત વચ્ચે રાહતના સમાચાર સામે આવ્યા છે. 'શિવાલિક' બાદ જામનગરના વાડીનાર પૉર્ટ નજીક વિશાળ LPG ટેન્કર 'નંદા દેવી' આવી પહોંચ્યું છે. વાડીનારથી અંદાજે 10 નોટિકલ માઇલ દૂર જહાજમાંથી ગેસનો જથ્થો ઉતારવાની પ્રક્રિયા હાથ ધરાશે. આ જહાજના આગમન સાથે જ રાજ્યમાં રાંધણ ગેસ અને કોમર્શિયલ ગેસના પુરવઠામાં મોટી રાહત થવાની શક્યતા સેવાઈ રહી છે.
બીજું જહાજ ગુજરાત પહોંચ્યું
મળતી માહિતી અનુસાર, નંદા દેવી જહાજમાં 46 હજાર મેટ્રિક ટન એલપીજી લાવવામાં આવ્યો છે. બે દિવસમાં બે જહાજ LPG ગેસ લઈને ભારત પહોંચ્યા છે. નંદા દેવી LPG કેરિયર જહાજ ગુજરાતના જામનગર ખાતે આવેલ વાડીનાર પૉર્ટ પર પહોંચ્યું છે. નોંધનીય છે કે, 46 હજાર મેટ્રિક ટન લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ(LPG)થી ભરેલું ભારતીય જહાજ 'શિવાલિક' સોમવારે (16મી માર્ચ) મુન્દ્રા પૉર્ટ સહીસલામત પહોંચી ગયું છે. વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્ત્વની ગણાતી 'સ્ટ્રેટ ઑફ હોર્મુઝ'માંથી પસાર થઈને આ જહાજ ગુજરાતના દરિયાકાંઠે આવતા દેશમાં રાંધણ ગેસના પુરવઠાની ચિંતા હળવી થઈ છે.

આ પણ વાંચો: પહેલા અમેરિકામાં હિન્દુ મંદિરો પર થતાં હુમલા પર ધ્યાન આપો: USCIRF રિપૉર્ટ પર ભારતનો જવાબ
વ્યૂહાત્મક રીતે મહત્ત્વનો જળમાર્ગ
સ્ટ્રેટ ઑફ હોર્મુઝ એ વિશ્વનો સૌથી મહત્ત્વનો ઊર્જા કોરિડોર છે, જ્યાંથી વિશ્વનો 20 ટકા ઓઇલ અને ગેસનો વેપાર શક્ય બને છે. ફેબ્રુઆરીના અંતમાં અમેરિકા અને ઈઝરાયલ દ્વારા ઈરાન પર કરાયેલા હુમલા અને ત્યારબાદ તેહરાન દ્વારા અપાયેલી વળતી પ્રહારની ધમકીને કારણે આ જળમાર્ગમાં જહાજોની અવરજવર જોખમી બની હતી. ઈરાને આ સામુદ્રધુનીમાંથી પસાર થતાં જહાજોને ચેતવણી આપી હતી, જેના કારણે વૈશ્વિક ટેન્કર ટ્રાફિકમાં મોટો ઘટાડો નોંધાયો હતો.

ભારતીય ધ્વજ ધરાવતા બે જહાજોને મળી મંજૂરી
યુદ્ધની તણાવ ભરી સ્થિતિ હોવા છતાં ઈરાની સત્તાવાળાઓએ ભારતીય ધ્વજ ધરાવતા બે મોટા ગેસ કેરિયર્સ 'શિવાલિક' અને 'નંદા દેવી'ને પસાર થવાની વિશેષ મંજૂરી આપી હતી. આ બંને જહાજો કુલ 92,700 મેટ્રિક ટન LPG ભારત લાવી રહ્યા છે. જેમાંથી 'શિવાલિક' જહાજ સોમવારે મુન્દ્રા પહોંચી ગયું છે, જ્યારે બીજું જહાજ 'નંદા દેવી' 17મી માર્ચે વાડીનાર પૉર્ટ પર પહોંચ્યું છે.









