LPG અછતની અસર હવે મધ્યાહન ભોજન પર: આણંદની શાળામાં ગેસની તંગી અંગે આચાર્યની તંત્રને રજૂઆત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

LPG shortage In Gujarat: મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધના કારણે રાજ્યમાં સર્જાયેલી LPG ગેસની અછત હવે સરકારી શાળાઓ સુધી પહોંચી છે. આણંદ જિલ્લાની એક શાળાએ મધ્યાહન ભોજન યોજના (PM પોષણ યોજના) ખોરવાય નહીં તે માટે અત્યારથી જ વહીવટી તંત્ર પાસે ગેસ સિલિન્ડરની માગ કરી છે.
શાળાના આચાર્યની રજૂઆત
આણંદ જિલ્લાની આસોદર પ્રાથમિક કન્યા શાળાના આચાર્ય દ્વારા આ ગંભીર મુદ્દે લેખિત પત્ર લખવામાં આવ્યો છે. શાળાના આચાર્યે ગેસ એજન્સીને પત્ર લખીને જણાવ્યું છે કે, માર્ચ 2026થી શાળાના મધ્યાહન ભોજન માટે પુરવઠામાં 6 રાંધણગેસના સિલિન્ડરની ફાળવણી તાત્કાલિક ધોરણે કરવામાં આવે. પી.એમ. પોષણ યોજના અંતર્ગત બાળકોને આપવામાં આવતા ભોજનમાં ગેસની અછતને કારણે મુશ્કેલીઓ સર્જાઈ રહી છે. ભવિષ્યમાં બાળકોનું ભોજન બંધ ન થાય તે માટે આ પૂર્વતૈયારીના ભાગરૂપે રજૂઆત કરાઈ છે.
આ પણ વાંચો: યુદ્ધને કારણે કોમર્શિયલ ગેસ સિલિન્ડર બંધ, ગુજરાતની 10000 રેસ્ટોરન્ટ સામે લટકતી તલવાર

પેનિકની સ્થિતિ અને શાળાની ચિંતા
વર્તમાન સમયમાં ઈઝરાયલ અને ઈરાન વચ્ચેના યુદ્ધની સ્થિતિને કારણે પ્રોપેન અને કોમર્શિયલ ગેસના પુરવઠામાં કાપ મૂકાયો છે. આ સ્થિતિની અસર ધીરે ધીરે અન્ય ક્ષેત્રોમાં પણ જોવા મળી રહી છે. આસોદર કન્યા શાળાના આચાર્યે પત્રમાં સ્પષ્ટ કર્યું છે કે, મધ્યાહન ભોજનની સુચારુ વ્યવસ્થા જાળવી રાખવા માટે વધારાના સિલિન્ડરનો જથ્થો ફાળવવો અત્યંત અનિવાર્ય છે.








