Gujarat

વેપારીઓ સાથે 70.25 લાખની ઠગાઈમાં લેભાગુના આગોતરા જામીન નામંજુર

By GS Team
10 Feb 20222 mins read
This article was originally published on 10 Feb 2022
વેપારીઓ સાથે 70.25 લાખની ઠગાઈમાં લેભાગુના આગોતરા જામીન નામંજુર

સુરત

દોઢ વર્ષ પહેલા ટેક્સટાઇલ માર્કેટના વેપારીઓ પાસે એમ્બ્રોઇડરી જોબવર્ક કરાવી રમીઝ છૈયા સહિતના મળતીયાઓએ પેમેન્ટ ચૂકવ્યું નહોતું


આજથી એકાદ વર્ષ પહેલાં સુરત ટેક્સટાઈલ માર્કેટના વેપારીઓને એમ્બ્રોડરી જોબવર્ક કરાવી કુલ રૃ.70.25 લાખની પેમેન્ટ નહીં કરી ગુનાઈત ઠગાઈના કારસામાં સુરત ક્રાઈમ બ્રાંચની ધરપકડથી બચવા આરોપી વેપારીએ કરેલી આગોતરા જામીનની માંગને આજે  એડીશ્નલ સેશન્સ જજ આરતીબેન અદ્વૈત વ્યાસે નકારી કાઢી છે.

સુરત ટેક્સટાઈલ માર્કેટમાં એમ્બ્રોડરી જોબવર્ક સાથે સંકળાયેલા ફરિયાદી તથા અન્ય સાક્ષીઓ જીતેન્દ્ર નટવર ધામેલીયા, યોગેશ વિશ્રામ લાડોલા, ગૌરવ રામજી કોશિયા વગેરે પાસે આરોપી રમીઝ નવાઝ છૈયા (રે.પર્લ હાઈટ્સ એપાર્ટમેન્ટ, કોઝ વે રોડ ગોરાટ)એ ઓગષ્ટ-2019 થી ઓક્ટોબર-2020ના સમયગાળા દરમિયાન કુલ રૃ.70.25 લાખનું એમ્બ્રોડરી જોબવર્કનું કામ કરાવ્યું હતુ.પરંતુ આરોપી રમીઝ છૈયા તથા સહ આરોપીઓએ પ્રારંભિક તબક્કામાં એમ્બ્રોડરી જોબવર્કનું પેમેન્ટ ચુકવ્યા બાદ પાછળથી ફરિયાદી તથા સાક્ષી વેપારીઓ ને પેમેન્ટ નહી કરતા ક્રાઇમ બ્રાંચમાં ફરિયાદ થઇ હતી.

આ કેસમાં આરોપી રમીઝ છૈયાએ પોતાની ધરપકડ થાય તેવી દહેશત વ્યક્ત કરી આગોતરા જામીન માટે માંગ કરી હતી. આરોપીએ બચાવમાં મુખ્યત્વે એક વર્ષ પહેલાંના સમયગાળાના ગુનાની વિલંબિત ફરિયાદના મુદ્દે ફરિયાદીએ ખુલાશો વ્યક્ત કર્યો ન હોઈ ખોટી ફરિયાદ નોંધાવી હોવાનું જણાવ્યું હતુ. જેના વિરોધમાંએપીપી રાજેશ ડોબરીયાએ જણાવ્યું હતું કે આરોપી વિરુધ્ધ ગંભીર ગુનાની પ્રથમ દર્શનીય કેસન તપાસ પ્રારંભિક તબક્કામાં છે. આરોપીને આગોતરા જામીન આપવાથી પોલીસ તપાસ તથા સમાજ પર વિપરિત અસર પડવા ઉપરાત સાક્ષી પુરાવા સાથે ચેડા થવાની સંભાવના છે.