Gujarat

રફના ભાવમાં 30 ટકાની આડ અસર: મોટા યુનિટ ધારકો હીરાના સ્ટોક કરી રહ્યા છે જયારે નાના કારખાનેદારો વેચવા મજબૂર

By GS Team
24 Nov 20212 mins read
This article was originally published on 24 Nov 2021
રફના ભાવમાં 30 ટકાની આડ અસર: મોટા યુનિટ ધારકો હીરાના સ્ટોક કરી રહ્યા છે જયારે નાના કારખાનેદારો વેચવા મજબૂર



- ભાવ વધારાને કારણે નાના યુનિટો હજી શરૂ થયા નથી, જયારે મોટા યુનિટ ધમધમતા થઇ ગયા અને સ્ટોક કરવાની વૃત્તિથી વેપારીઓમાં નારાજગી

સુરત
દિવાળી અગાઉ રફના ભાવમાં થયેલા 30 ટકાના વધારાને પગલે નાના કારખાનેદારોએ હજી સુધી કામકાજ શરૂ કર્યુ નથી. જયારે મોટા યુનિટ ધારકો હીરા વેચવાને બદલે સ્ટોક કરી રહ્યા છે જયારે નાના કારખાનેદારો હીરા વેચવા માટે મજબૂર બન્યા છે.
કોરોનાની બીજી લહેર બાદ ઈન્ટરનેશનલ માર્કેટમાં હીરા અને જ્વેલરીની ડિમાન્ડમાં વધારો થયો હતો. જેને પગલે માર્કેટમાં તૈયાર હીરાની માંગમાં વધારો થતાંની સાથે જ રફ માઈનીંગ કંપનીઓએ રફના ભાવમાં 25થી 30 ટકાનો વધારો કર્યો હતો. રેગ્યુલરની સાથે પાતળી સાઈઝની રફમાં પણ ભાવ વધારો કરવામાં આવ્યો હતો. દિવાળી પહેલાં થયેલા ભાવ વધારાના કારણે કેટલાક કારખાનેદારોએ ઓવર ટાઇમ ચાલી રહેલું કામ અટકાવી દીધું હતું. બીજી તરફ 21 દિવસના વેકેશન બાદ સોમવારથી 80 ટકાથી વધુ કારખાનાઓ ધમધમતા થઇ ગયા છે. પરંતુ રફના ભાવના વધારાને કારણે કેટલાક નાના હીરાના યુનિટો હજી શરૂ થયા નથી. ઉલ્લેખનીય છે કે રફના ભાવ વધારાની કોઇ અસર મોટા કારખાનેદારોને નડી રહી નથી. જેથી તેઓ હીરાનો સ્ટોક કરી રહ્યા છે. જયારે નાના યુનિટ ધારકો પાસે લિક્વિડિટીની સમસ્યા હોવાથી તેઓ મજબૂરી વશ હીરાનું વેચાણ કરી રહ્યા છે. આ અંગે જીજેઇપીસીના રિજીયોનલ ચેરમેન દિનેશ નાવડીયાએ જણાવ્યું હતું કે ભાવ વધારાને પગલે વેપારીઓની મુશકેલી વધી છે. પરંતુ રફની કોઇ અછત નથી જેથી આર્થિક મુશકેલીનો સામનો કરી રહેલા વેપારીઓ હીરા વેચી રહ્યા છે જયારે સક્ષમ વેપારીઓ સ્ટોક કરી રહ્યા છે.