Get The App

નાંદોદના તત્કાલીન મામલતદારની ધરપકડ, જમીન કૌભાંડ કરી સરકારને 1.29 કરોડની ખોટ ખવડાવી, 3 દિવસના રિમાન્ડ મંજૂર

Updated: Jun 5th, 2026

GS TEAM

Google News
Google News
નાંદોદના તત્કાલીન મામલતદારની ધરપકડ, જમીન કૌભાંડ કરી સરકારને 1.29 કરોડની ખોટ ખવડાવી, 3 દિવસના રિમાન્ડ મંજૂર 1 - image

Nandod Mamlatdar Rohit Pakhwala Land Scam: જમીનના હક્કપત્રકમાં સરકારી કાયદાઓનું ઉલ્લંઘન કરી આચરવામાં આવેલા કરોડોના કૌભાંડમાં CID ક્રાઇમે કડક વલણ અપનાવ્યું છે. નર્મદા જિલ્લાના નાંદોદ ખાતે અગાઉ મામલતદાર તરીકે ફરજ બજાવી ચૂકેલા રોહિત બાબુલાલ પખાવાલાની ધરપકડ કરવામાં આવી છે, જેમની પર હોદ્દાનો ખોટો ઉપયોગ કરીને ખાનગી તત્વોના ફાયદા માટે સરકારને મોટું આર્થિક નુકસાન પહોંચાડવાનો ગંભીર આરોપ છે. વર્ષ 2008ના સમયગાળા દરમિયાન થયેલા આ ભ્રષ્ટાચારના મામલામાં કાયદાકીય ગાળિયો મજબૂત થતાં જ મહેસૂલ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. ધરપકડ બાદ CID ક્રાઇમની ટીમે આરોપીને કોર્ટ સમક્ષ રજૂ કરી પૂછપરછ માટે ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરાવ્યા છે.

અંગત હિત માટે દ્વેષપૂર્વક જમીનની નોંધ પ્રમાણિત કરી દીધી

ગુજરાત સી.આઇ.ડી. ક્રાઇમ ગાંધીનગર દ્વારા નાંદોદના તત્કાલીન મામલતદાર રોહિત બાબુલાલ પખાવાલા સામે સરકારે આપેલી સત્તા અને હોદ્દાનો દુરુપયોગ કરવા બદલ તેમની ધરપકડ કરવામાં આવી છે. આરોપીએ અન્ય સહ-આરોપીઓ સાથે મળીને કાયદાકીય પ્રક્રિયાથી વિપરીત જઈને પોતાના અંગત હિત માટે દ્વેષપૂર્વક જમીનની નોંધ પ્રમાણિત કરી દીધી હતી.

શું છે સમગ્ર મામલો?

વર્ષ 2008નો આ સમગ્ર મામલો બખર ગામના સર્વે નંબર-33, 35, 41, 42 ની જમીન સાથે જોડાયેલો છે. આ જમીનની હક્કપત્રક નોંધ નંબર-504 અગાઉ તારીખ 15/06/1999થી રદ કરવામાં આવી હોવા છતાં, આરોપીએ જન્મજાત ખેડૂત ખાતેદાર હોવા બાબતની પૂરતી ચકાસણી કરી ન હતી. સરકારના નિયમો, પરિપત્રો અને કાયદાકીય જોગવાઈઓને નેવે મૂકીને માત્ર એક અરજીના આધારે, બદઈરાદાથી તારીખ 10/12/2008ના રોજ ગેરધોરણે નોંધ નંબર-670 પ્રમાણિત કરી દેવામાં આવી હતી.

સરકારને અંદાજે રૂપિયા 1,29,39,150 રૂપિયાનું નુકસાન

આ ગંભીર ગેરરીતિ અને ગુનાહિત વિશ્વાસઘાતના કારણે સરકારને અંદાજે રૂપિયા 1,29,39,150/- (એક કરોડ ઓગણત્રીસ લાખ ઓગણચાળીસ હજાર એકસો પચાસ)નું મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. આ સંદર્ભે વડોદરા ઝોન પોલીસ સ્ટેશનમાં તારીખ 04/06/2026ના રોજ આઇ.પી.સી. (IPC) ની કલમ 120(B), 166, 219, 405, 406 અને 409 મુજબ ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે. 

આ પણ વાંચો: ગુજરાત એસટી નિગમમાં કંડકટર અને ડ્રાઇવરની 8917 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત, 6 જૂનથી ભરાશે ફોર્મ

સધન તપાસ બાદ સી.આઇ.ડી. ક્રાઇમની ટીમે તત્કાલીન મામલતદાર રોહિત બાબુલાલ પખાવાલાને તારીખ 04/06/2026 ના રોજ રાત્રે 23:15 કલાકે ઝડપી પાડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અને ત્રણ દિવસના રિમાન્ડ પણ કોર્ટ પાસેથી મંજૂર કરાવ્યા છે.