Kirti Patel Controversy : સોશિયલ મીડિયા પર અવારનવાર વિવાદોમાં રહેતી કીર્તિ પટેલે મહા શિવરાત્રિના મેળામાં મૃગીકુંડમાં ઘૂસી ડૂબકી લગાવતા નવો વિવાદ ઊભો થયો છે. કીર્તિ પટેલે ભગવા વસ્ત્રો પહેરી મૃગીકુંડમાં સ્નાન કરતાં સાધુ-સંતોમાં નારાજગી જોવા મળી છે. કીર્તિનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે.
કીર્તિ પટેલે ભગવા વસ્ત્રો પહેરી મૃગીકુંડમાં સ્નાન કરતાં વિવાદ
જૂનાગઢમાં મહા શિવરાત્રિના મેળાના છેલ્લા દિવસે રવેડી સમયે ભગવા વસ્ત્રો પહેરી કીર્તિ પટેલ ભવનાથમાં પહોંચી હોવાના દૃશ્યો સામે આવ્યા છે. જ્યાં તે મૃગીકુંડમાં સાધુઓના શાહી સ્નાનમાં પહોંચતા વિવાદ છેડાયો છે. વાઇરલ વીડિયોમાં જોવા મળે છે કે, કીર્તિ સાધુઓની વચ્ચે જ મૃગીકુંડમાં ડૂબકી લગાવે છે અને ‘હર હર મહાદેવ’નો નાદ કરતી જોવા મળી છે. જોકે, તંત્રને ધ્યાને આવતાં તરત જ કીર્તિને ત્યાંથી દૂર કરવામાં આવી હતી.
આ મામલે પ્રાંત અધિકારીએ જણાવ્યું હતું કે, 'મૃગીકુંડમાં સાધુ સંતો સાથે નીતિ-નિયમોને લઈને ચર્ચા કરાશે અને જો તેમાં ધાર્મિક લાગણીને ઠેસ પહોંચી હોય તેવું જણાશે તો કીર્તિ પટેલ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.'


