જૂનાગઢ ભારતી આશ્રમના લઘુમહંત મહાદેવ ભારતી ગુમ, ત્રણ પાનાંની સ્યુસાઈડ નોટ મળતા ચકચાર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Mahadev Bharti Mahant : જૂનાગઢના પ્રતિષ્ઠિત ભારતી આશ્રમના લઘુમહંત મહાદેવ ભારતી બાપુ આજે (2 નવેમ્બર) વહેલી સવારે આશ્રમમાંથી ગુમ થતાં ખળભળાટ મચી ગયો છે. તેમના નિવાસસ્થાનમાંથી ત્રણથી વધુ પાનાની એક સ્યુસાઈડ નોટ મળી આવી છે, જેના પગલે આશ્રમ સંચાલકોએ તાત્કાલિક ભવનાથ પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર મહાદેવ ભારતી બાપુ વહેલી સવારે આશ્રમમાંથી કોઈને જાણ કર્યા વિના નીકળી ગયા હતા. સંચાલકોને શંકા જતાં તેમણે તપાસ કરી હતી, જ્યાંથી આ સ્યુસાઈડ નોટ મળી આવી હતી.
પોલીસની અલગ-અલગ ટીમો દ્વારા શોધખોળ
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, ભવનાથ પોલીસ તેમજ જૂનાગઢ પોલીસની અલગ-અલગ ટીમો બનાવવામાં આવી છે અને મહાદેવ ભારતી બાપુની શોધખોળ શરૂ કરી દેવામાં આવી છે. પોલીસ આશ્રમના સંચાલકો અને નજીકના લોકોની પૂછપરછ કરી રહી છે.
સ્યુસાઈડ નોટમાં અંગત મનદુઃખનો ઉલ્લેખ
પ્રાથમિક માહિતી અનુસાર નિવાસ્થાનેથી મળી આવેલી સ્યુસાઈડ નોટમાં મહાદેવ ભારતી બાપુએ કોઈ અંગત મનદુઃખ હોવાનું કારણ જણાવ્યું છે. જોકે, આ સ્યુસાઈડ નોટમાં કોના નામનો ઉલ્લેખ છે અથવા ચોક્કસ કારણ શું છે, તે અંગે પોલીસે મૌન સેવ્યું છે.
ભવનાથ પોલીસને આ અંગે પૂછવામાં આવતા, તેમણે જણાવ્યું હતું કે, આ સમગ્ર બાબત હાલ તપાસનો વિષય છે. સ્યુસાઈડ નોટ અમારા કબ્જામાં છે અને અમે તેની ચકાસણી કરી રહ્યા છીએ. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને મહાદેવ ભારતી બાપુને વહેલી તકે શોધી કાઢવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.








