Get The App

જામનગરના દડીયા પાસે ફોરેસ્ટ રિસોર્ટમાં ભીષણ આગ: લગ્ન પ્રસંગમાં મચી અફરાતફરી, મંડપ સહિતનો સામાન ખાખ

Updated: May 2nd, 2026

GS TEAM

Google News
Google News
Jamnagar Resort Fire

Jamnagar Resort Fire: જામનગર નજીક રણજીતસાગર રોડ પર દડિયા ગામ પાસે આવેલા ફોરેસ્ટ રિસોર્ટમાં આજે(2 મે, 2026) બપોરે અંદાજે 1:26 વાગ્યે અચાનક આગ લાગવાની ઘટના બની હતી. પ્રાથમિક માહિતી મુજબ, કુલરના પંખામાં શોર્ટ સર્કિટ થતાં આગ ભભૂકી ઊઠી હતી.

ફોરેસ્ટ રિસોર્ટમાં લાગી ભીષણ આગ

આ રિસોર્ટમાં ગાઝેબો પ્રકારનું બાંધકામ સંપૂર્ણપણે વાંસ અને લાકડાથી બનાવેલું હોવાથી આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગ અને ધુમાડાના ગોટેગોટા દૂર સુધી દેખાતા આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો.

આગ બનાવ સ્થળની બાજુમાં જ લગ્ન પ્રસંગ

જે જગ્યાએ આગનો બનાવ બન્યો હતો, તે સ્થળની બાજુમાં જ લગ્ન પ્રસંગ ચાલી રહ્યો હતો. જેમાં વરરાજાની પીઠી સહિતના કાર્યક્રમો અને જમણવારની તૈયારીઓ ચાલી રહી હતી, ત્યારે અચાનક આગ લાગતાં ભારે અફડાતફડી મચી ગઈ હતી. પ્રસંગમાં મહિલાઓની સંખ્યા વધુ હોવાથી દોડધામ અને ગભરાટનો માહોલ સર્જાયો હતો.

લગ્નનો હંગામી મંડપ, ફર્નિચર અને અન્ય સામગ્રી બળીને ખાખ

હોટલ સંચાલકોએ ફાયર સેફ્ટી સિસ્ટમની મદદથી આગ કાબૂમાં લેવા પ્રયાસ કર્યો હતો, પરંતુ ભારે પવનને કારણે આગ ઝડપથી ફેલાઈ ગઈ હતી. આગના કારણે લગ્નનો હંગામી મંડપ, ફર્નિચર અને અન્ય સામગ્રી બળીને ખાખ થઈ ગઈ હતી.

ફાયર બ્રિગેડની 30 વ્યક્તિની ટીમ ઘટનાસ્થળે 

ઘટનાની જાણ થતાં જામનગર મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ચીફ ફાયર ઓફિસર, ફાયર સ્ટેશન ઓફિસર તથા ટીમના આશરે 30 જેટલા જવાનો બે ફાયર ફાઈટર અને ફાયર જીપ સાથે ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.

અડધા કલાક બાદ આગ પર કાબૂ

ફાયર ટીમે યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરી સતત પાણીનો મારો ચલાવી અંદાજે અડધા કલાકમાં આગને કાબૂમાં લીધી હતી અને વધુ પ્રસરતી અટકાવી હતી. આગ મુખ્યત્વે ગાઝેબો પ્રકારના બાંધકામ અને લગ્ન મંડપ સુધી મર્યાદિત રહી હતી. જો કે, આસપાસના ઝાડોમાં પણ આગ ફેલાઈ હતી જેને સમયસર કાબૂમાં લેવામાં આવી હતી.

આ પણ વાંચો: સોમનાથથી દ્વારકા જતી ખાનગી બસ પલટી, રોઝડું વચ્ચે આવતા દર્દનાક અકસ્માત, 2ના મોત તો અનેકને ઈજા

આ ઘટનાના કારણે લગ્ન પ્રસંગમાં વિક્ષેપ સર્જાયો હતો અને પરિવારજનોએ બાકી રહેલી વિધિઓ રિસોર્ટના અન્ય સ્થળે કરવાની તૈયારી હાથ ધરી છે. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ આર્થિક નુકસાન નોંધપાત્ર થયું હોવાનું જાણવા મળે છે.