Gujarat

ભરૂચના સાંસદ મામલતદાર સાથેના અશોભનીય વર્તન બાબતે જામનગર જિલ્લા રેવન્યુ કર્મચારીઓ માસ સી.એલ. પર ઉતર્યા

By GS Team
5 Mar 20221 min read
This article was originally published on 5 Mar 2022
ભરૂચના સાંસદ મામલતદાર સાથેના અશોભનીય વર્તન બાબતે જામનગર જિલ્લા રેવન્યુ કર્મચારીઓ માસ સી.એલ. પર ઉતર્યા

જામનગર, તા.5 માર્ચ, 2022

ભરૂચના સાંસદ દ્વારા કરજણ તાલુકાના મામલતદાર તથા નાયબ મામલતદાર સાથેના અશોભનીય વર્તન બાબતે સમગ્ર ગુજરાત રાજ્યના સરકારી કર્મચારીઓમાં વિરોધ વંટોળ જોવા મળ્યો હતો, જેના અનુસંધાને જામનગર જિલ્લાના ૨૫૦થી વધુ કર્મચારીઓ તેમજ ૧૨ જેટલા મામલતદારો આજે એક દિવસ માટે માસ સી.એલ. પર ઉતરી ગયા હતા, અને વિરોધ પ્રદર્શન કર્યું હતું.


ભરૂચના સંસદના અસભ્ય વર્તન મામલે રાજ્યભરના મામલતદારો લડત ચલાવી રહ્યા છે, જેમાં છેલ્લા બે દિવસથી ગુજરાત રાજ્ય રેવન્યુ કર્મચારી મંડળ વર્ગ-૩ દ્વારા ટેકો અપાયો છે, અને ગઈકાલે રાજ્યભરના તમામ રેવન્યુ કર્મચારીઓએ કાળી પટ્ટી ધારણ કરીને વિરોધ દર્શાવ્યો હતો. ત્યાર પછી આજે તમામ કર્મચારીઓ એક દિવસની માસ સી.એલ. પર ઉતરી ગયા હતા.

જેના અનુસંધાને જામનગર જિલ્લા રેવન્યુ કર્મચારી મંડળ વર્ગ-૩ના ૨૫૦થી વધુ નાયબ મામલતદાર, કારકુન, અને રેવન્યુ તલાટી વગેરે આજે એક દિવસ માટે માસ સી.એલ. પર ઉતરી ગયા હતા, અને મામલતદારને સી.એલ. મંજુર કરવા માટેનો પત્ર રજૂ કર્યો હતો.

આજના આ કાર્યક્રમમાં જામનગર જિલ્લાના નવ મામલતદાર, એક ચીટનીશ, ડિઝાસ્ટર મામલતદાર, તથા પી.આર.ઓ. પણ જોડાયા હતા. એક દિવસની માસ સી.એલ. ને લઈને જામનગરની તમામ સરકારી કચેરીઓમાં એક દિવસ માટે નું કામ ઠપ્પ થઈ ગયું હતું.