જામનગર નજીક જોગવડ વિસ્તારમાં એક દંપતિ અને તેની પુત્રીઓ ઉપર હુમલો કરવા અંગેની વળતી ફરિયાદ નોંધાવાઈ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના જોગવડ ગામે ગઈકાલે મારામારીનો એક બનાવ બન્યો હતો, અને એક જૂથ દ્વારા પોતાને લાકડી સાવરણી વડે માર મારી હુમલો કરાયાની અને અપમાનિત કરાયાની ફરિયાદ નોંધાવાઈ હતી, અને પોલીસે અજાણ્યા 6 શખ્સો સામે ગુનો નોંધ્યો હતો. દરમિયાન આ પ્રકરણમાં એક મહિલા દ્વારા પોતાને તેમજ પોતાના પતિ અને બે પુત્રીઓને માર મારવાની વળતી ફરિયાદ નોંધાવાઈ છે.
મળતી માહિતી મુજબ તા. 02/02/2026ના રોજ રાત્રે જોગવડ પાટીયા, રાણીશીપ વિસ્તાર ખાતે ગુલાબભાઈની ભાડાની ઓરડી પાસે આ બનાવ બન્યો હતો.
ફરિયાદી પરવીનબેન (ઉ.વ. 36), હાલ રહે. જોગવડ પાટીયા, રાણીશીપ વિસ્તાર, તા. લાલપુર દ્વારા નોંધાવવામાં આવેલ ફરિયાદ મુજબ, તેમના ભાઈ દાઉદ અને જાવેદ તેમના ઘરે આવ્યા બાદ પરત જઈ રહ્યા હતા ત્યારે સામેની ઓરડીમાં રહેતા અજાણ્યા ગુજરાતી ઈસમએ તેમને અટકાવી ઝપાઝપી કરી મારપીટ શરૂ કરી હતી.
આ દરમ્યાન ફરિયાદીના પતિ વચ્ચે પડતા તેમને પણ માર મારવામાં આવ્યો હતો. બાદમાં આરોપીએ લાકડી વડે હુમલો કરી ફરિયાદીના માથાના કપાળ પાસે ઈજા પહોંચાડી હતી. સાથે ફરિયાદીની બે પુત્રીઓ આલીયા (ઉ.વ. 12) અને ઝોયા (ઉ.વ. 11) ને પણ લાકડી વડે માર મારતા તેમને શરીરે ઈજાઓ થઈ હતી.
ફરિયાદ મુજબ આરોપીએ ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી તથા ગુજરાતમાં મજૂરી કામ ન કરવા દેવાની પણ ધમકી આપી હતી. આ બનાવ અંગે મેઘપર (પડાણા) પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.








