Amreli Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે જાણે હવે 'ડેથ હાઈવે' બની રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. જાફરાબાદના ભટ્ટવદર ગામ નજીક ગત મોડી રાતે એક ટ્રક અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં બે આશાસ્પદ યુવાનોના મોત નિપજતા સમગ્ર પંથકમાં શોક અને તંત્ર સામે રોષ ફાટી નીકળ્યો છે.
એકનું સ્થળ પર, બીજાનું હોસ્પિટલમાં મોત
મળતી માહિતી અનુસાર, ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભટ્ટવદર ગામ નજીક પસાર થઈ રહેલા બાઈકને પૂરપાટ ઝડપે આવતી ટ્રકે અડફેટે લીધી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે બાઈકનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. અકસ્માતમાં બાઈક સવાર રમેશ સાંખટ અને મનુ સાંખટ નામના બે યુવાનોના મોત થયા છે. રમેશ સાંખટનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે મનુ સાંખટને ગંભીર હાલતમાં રાજુલા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમણે પણ દમ તોડ્યો હતો.
ઘટનાની જાણ થતા જ જાફરાબાદ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને ટ્રાફિક ક્લિયર કરાવી તપાસ હાથ ધરી હતી. અકસ્માત સર્જનાર ટ્રકચાલક સામે કાયદેસરની કાર્યવાહી કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે.
આ પણ વાંચો: આણંદ: જંત્રાલ-વિરસદ રોડ પર કાર અને બાઈક વચ્ચે અકસ્માત, બાળકી સહિત બેના મોત
લોકોમાં ભારે રોષ
આ અકસ્માત પાછળ સીધો જ નેશનલ હાઈવે ઓથોરિટીની ઘોર બેદરકારી જવાબદાર હોવાનું સામે આવ્યું છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, હાઈવે પર બોક્સ કલ્વર્ટ (નાળા) નું કામ લાંબા સમયથી અધૂરું છે. તંત્રએ કામ પૂરું કરવાને બદલે ત્યાં માટીના મોટા પાળા બનાવી દીધા છે, જેના કારણે વાહનચાલકોને રસ્તો દેખાતો નથી અને અકસ્માત સર્જાય છે.
આ પણ વાંચો: અમરેલી: લીલીયાના ગુદરણ પાસે ભયંકર અકસ્માત, આઈશર પાછળ બાઈક ઘૂસી જતાં 3ના મોત
છેલ્લા 5 વર્ષથી આ રોડ પર અનેક જીવલેણ અકસ્માતો થયા હોવા છતાં નેશનલ હાઈવે ઓથોરિટી જાગવાની તસ્દી લેતી નથી.હજુ સુધી બોક્સ કન્વર્ટનું કામ શરૂ કરવામાં આવ્યું નથી, જે વારંવાર અકસ્માતનું કારણ બની રહ્યું છે.


