વિદેશી દારૃની ગાડી પકડી જવા દીધી હોવાના મામલે
એસીપીએ ડીવાયએસપીને તપાસ સોંપી, તપાસનો ધમધમાટ શરૃ
ભાવનગર - ભાવનગર લોકલ ક્રાઈમબ્રાન્ચના કર્મચારીઓએ વિદેશી દારૃની ગાડી પકડી હતી અને વહીવટ કરી જવા દીધી હોવાનો મામલો એસપીના ધ્યાન પર આવતા એલસીબીના ત્રણ જેટલા કર્મચારીની તત્કાલ બદલી કરી તપાસના આદેશ છોડયા છે.
થોડાં દિવસ પૂર્વે ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચના કર્મચારીઓએ વિદેશી દારૃ ભરેલી ગાડી પકડી પાડી હતી અને આ મામલે બૂટલેગરો સાથે લેતી દેતી કરી દારૃ ભરેલી ગાડી જવા દીધી હતી. આ સમગ્ર મામલાની જાણ એસપીને થતા તત્કાલ એસપીએ લોકલ ક્રાઈમબ્રાન્ચના ત્રણ જેટલા કર્મચારીઓની બદલી હેડ ક્વાટર ખાતે કરી નાખી હતી અને ડીવાયએસપી સિંઘાલને તપાસના આદેશ છોડયા હતા. આ સમગ્ર મામલે ડીવાયએસપી સિંઘાલે તપાસ કરવાના આદેશ મળ્યા છે અને તપાસનો ધમધમાટ શરૃ કરવામાં આવ્યો છે. અને આ મામલામાં સંડોવાયેલા કર્મચારીઓના નિવેદન લેવામાં આવશે તેમ ડીવાયએસપી સિંઘાલે જણાવ્યું હતું.


