વડોદરા: મતદાર યાદી સુધારણા કાર્યક્રમ માંથી શિક્ષકોને મુક્તિ આપવા રજૂઆત

વડોદરા, તા. 03 ડિસેમ્બર 2021 શુક્રવાર
વડોદરા શહેરમાં મતદાર સુધારણા યાદીનો કાર્યક્રમ હાલમાં ચાલી રહ્યો છે. તે સમય શિક્ષણ સમિતિના શિક્ષકોને બી.એલ.ઓ તરીકે નિમણૂક કરવામાં આવી છે ત્યારે શિક્ષકોને આ વર્ષે ખોટી રીતે મેસેજ આપી તેમજ સુધારણા કાર્યક્રમોમાં ગરૂડા એપમાં ફોર્મ ડાઉનલોડ કરવાની પણ જવાબદારી સોંપી છે. તેને કારણે શિક્ષકોએ આજે આ કામગીરીમાંથી મુક્તિ આપવા શાસનાધિકારી સમક્ષ રજૂઆત કરી છે.
શિક્ષક સંઘના પ્રમુખ પિનાકીન પટેલે આ અંગે જણાવ્યું હતું કે ભારત સરકાર તરફથી મતદાર સુધારણા યાદી નો કાર્યક્રમ હાલમાં ચાલી રહ્યો છે ચૂંટણી પંચ તરફથી જ્યારે પણ આ કામગીરી શિક્ષકોને સોંપવામાં આવતી હોય છે ત્યારે નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી છે પરંતુ આ વર્ષે શિક્ષકોને અચાનક મેસેજ આપી હેરાનગતિ કરવામાં આવતા હોય છે એટલું જ નહીં ચૂંટણીપંચની ગાઇડલાઇન મુજબ જે શિક્ષકને ત્રણ વર્ષથી વધુ સમય દરમિયાન કામગીરી સોંપી હોય તેઓને ફરીથી કામગીરી આપવાની હોતી નથી તેમ જ શાળાના આચાર્યને પણ આ કામગીરી માંથી મુક્તિ આપવાની હોય છે પરંતુ ચૂંટણી પંચના નિયમો નો સરેઆમ ભંગ કરી તમામ શિક્ષકોને કામગીરીની જવાબદારી સોંપી છે તે સામે શિક્ષકોને મતદાર સુધારણા યાદીની કામગીરીમાંથી મુક્તિ આપવામાં આવે તે જરૂરી છે.

શિક્ષક સંઘના પ્રમુખ પિનાકીન પટેલે જણાવ્યું હતું કે શિક્ષકોને થતી હેરાનગતિ દૂર કરવામાં આવે અને શિક્ષકોને આ કામગીરી માંથી મુક્તિ આપવા માટે આગામી દિવસમાં જિલ્લા કલેકટર સમક્ષ પણ રજૂઆત કરીશું.




