યુનિવર્સિટી રોડ પર વિમલનગરમાં થયેલી
મૃતકના પરિવારજનોની રજૂઆતોનું પોલીસ કમિશનરે તત્કાળ નિવારણ કરતાં મૃતદેહ સંભાળી લેવા ખાતરી
રાજકોટ: યુનિવર્સિટી રોડ પરના વિમલનગર શેરી નં.૧માં રહેતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના નિવૃત કર્મચારી પ્રવિણભાઇ શાહની તેમની ભાણેજ દીયાના પતિ વિવેક ગોસ્વામીએ ઘરમાં ઘુસી છરાના આડેધડ ઘા ઝીંકી કરેલી ઘાતકી હત્યામાં ગાંધીગ્રામ-૨ પોલીસ મથકના સ્ટાફની બેદરકારીનો આક્ષેપ થતાં પોલીસ કમિશનરે એસીપીને ઇન્કવાયરી સોંપી છે.
મૃતક પ્રવિણભાઇના પુત્રી તેજલબેને આક્ષેપ કર્યો હતો કે, આરોપી તેમને છેલ્લા ઘણાં સમયથી ધમકી આપતો હતો. જેથી પોલીસ રક્ષણ આપવા ગઇ તા.૨૨મીએ ગાંધીગ્રામ-૨ પોલીસ મથકમાં અરજી કરી હતી. પરંતુ તપાસ કરનાર એએસઆઇ જયસિંહ ઝાલાએ કોઇ કાર્યવાહી કરી ન હતી. જેને કારણે આખરે તેના પિતાની હત્યા થઇ ગઇ હતી.
આ જ કારણસર મૃતદેહ સંભાળવાનો પણ ઇન્કાર કરી દીધો હતો. ગઇકાલે સાંજે ગાંધીગ્રામ-૨ પોલીસ મથકે જઇ પોલીસની બેદરકારીને લઇને હોબાળો પણ મચાવ્યો હતો. આખરે આજે પોલીસ કમિશનરે ગાંધીગ્રામ-૨ પોલીસ મથકની બેદરકારી અંગે તપાસ કરવા એસીપીને ઇન્કવાયરી સોંપી છે. મૃતક પ્રવિણભાઇના પરિવારના સભ્યોએ આજે સાંજે પોલીસ કમિશનર બ્રજેશ ઝાને મળી કેટલીક રજૂઆતો કરી હતી. જેનું ત્વરીત નિવારણ આવતા આવતીકાલે મૃતદેહ સંભાળી લેશે તેવી ખાતરી આપી હતી.
ઉલ્લેખનીય છે કે, ગાંધીગ્રામ-૨ પોલીસ મથકની કામગીરી સામે છેલ્લા ઘણાં સમયથી આક્ષેપો થઇ રહ્યા છે. એક પોલીસમેને ગુજારેલા દુષ્કર્મના કેસમાં પણ ગાંધીગ્રામ-૨ પોલીસે ફરિયાદ નહીં નોંધી પીડીતાને અનેક ધક્કા ખવડાવ્યાના આક્ષેપો થયા હતા. આખરે ક્રાઇમ બ્રાંચે ગુનો દાખલ કરાવી આરોપી પોલીસમેનની ધરપકડ કરી હતી.
છરી ખરેખર ક્યાંથી લીધી તે પણ પોલીસ શોધી શકી નથી
રાજકોટ: આરોપી વિવેકને તપાસના અંતે ગાંધીગ્રામ-૨ પોલીસે કોર્ટમાં રજૂ કરતા જેલહવાલે કરાયો હતો. તેણે છરી ખરેખર ચોટીલાથી લીધી કે રાજસ્થાનથી તેની માહિતી પણ પોલીસ કઢાવી શકી ન હતી. ખુદ પોલીસે જ સ્વિકાર્યું કે ખરેખર ક્યાંથી છરી લીધી તે સ્પષ્ટ થયું નથી. મૃતક પ્રવિણભાઇ અને તેના પુત્રી તેજલબેન દીયાને સાસરેથી લેવા ગયા હતા. હવે છુટાછેડા માટે પણ કાર્યવાહી કરવાના હતા. જેને કારણે આરોપી વિવેકે ઉશ્કેરાઇ પત્ની દીયાના નાના પ્રવિણભાઇને આ માટે જવાબદાર માની તેની હત્યા કરી નાંખ્યાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.


