Gujarat

ભરૂચના સાંસદના બિભત્સ વર્તનના વિરોધમાં મામલતદારો દ્વારા આંદોલનના શ્રીગણેશ

By GS Team
3 Mar 20222 mins read
This article was originally published on 3 Mar 2022
ભરૂચના સાંસદના બિભત્સ વર્તનના વિરોધમાં મામલતદારો દ્વારા આંદોલનના શ્રીગણેશ

વડોદરા, 03, માર્ચ, 2022

દસ દિવસ પૂર્વે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મામલતદાર સામે આચરેલા અશોભનિય વર્તન મામલે હવે રાજ્યના મહેસુલ કર્મચારીઓએ આંદોલનનાં 'શ્રી ગણેશ' કર્યા છે. આજે રાજ્યભરના  મામલતદારોએ કાળી પટ્ટી ધારણ કરી હતી. જેમાં વડોદરા જિલ્લા મહેસૂલ કર્મચારી મંડળ પણ જોડાયું હતું. અને પ્રમુખ તથા મહામંત્રીની આગેવાનીમાં કલેકટરને રજૂઆત કરી હતી. શુક્રવારે તમામ મામલતદાર માસ સી.એલ.પર જશે. મામલતદાર એસો.ને સાંસદની માફી જોઈએ છીએ. જ્યાં સુધી સાંસદ માફી નહિ માંગે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેવા અંગે પણ ઈશારો કર્યો છે. ગત સપ્તાહે  આ જ મુદ્દે સાંસદ મનસુખ વસાવા સામે ગુજરાત રાજ્ય મામલતદાર એસો. મેદાને આવ્યું હતું અને મુખ્યમંત્રી, મુખ્ય સચિવ અને મહેસુલ મંત્રીને પત્ર લખીને આપી ચિમકી પણ આપી હતી.

અત્રે નોંધનીય છે કે, ભરૂચ પટ્ટામાં સાંસદ મનસુખ વસાવા રેતી ખનન મામલે આકરાપાણીએ થયા હતા. એક તકે ગેરકાયદે રેતી ખનન કરતા લોકો સામે કાર્યવાહી બાબતે મામલતદારને સારા જાહેર ખખડાવ્યા હતા.ગેરકાયદે રેતી ખનનની રજૂઆતો છતાં પરિણામ ના આવતા સાંસદનો પિત્તો હટી ગયો હતો. કરજણના આમોદ ગામે ડમ્પર અને બાઇકનો  અકસ્માત થયો હતો. અને રેતી લઈને જતા ડમ્પરે અડફટે લેતા બાઇક સવારોનાં મોત થયા હતા. એ વખતે સાંસદ વસાવાએ  કહ્યું હતું કે, જે અધિકારી નજીક હતા તેમને ઠપકો આપ્યો હતો. આ ઘટનાના ગેરા પ્રયાઘાત પડતા હોય તેમ વડોદરામાં પણ તત્કાલ અસરથી સાંસદ વસાવાનો વિરોધ થયો છે.