Ahmedabad Police On India vs NZ Final : અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે 8 માર્ચ, 2026ના રોજ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાનારી T20 વર્લ્ડ કપની ફાઇનલ મેચને લઈને સમગ્ર શહેરમાં ભારે ઉત્સાહ છે. 1 લાખથી વધુ પ્રેક્ષકો અને અનેક VIP મહેમાનોની સુરક્ષિત અવરજવર માટે અમદાવાદ પોલીસ અને વહીવટી તંત્ર ચુસ્ત ટ્રાફિક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ફાઇનલ મેચને લઈને સ્ટેડિયમ ખાતે પોલીસ દ્વારા ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. જુઓ પોલીસ કમિશનરે શું કહ્યું?
સ્ટેડિયમ ખાતે પોલીસનો ચાંપતો બંદોબસ્ત
ભારત અને ન્યૂઝીલેન્ડની T20 વર્લ્ડ કપની ફાઇનલ મેચને લઈને નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સુરક્ષા હેતુ પોલીસ અધિકારી-કર્મીની ટીમ તૈનાત રહેશે. જેમાં 8-DCP, 14-ACP સહિત 27 PI, 91 PSI, 1800 પોલીસકર્મીની ટીમ બંદોબસ્તમાં રહેશે. આ સાથે સ્ટેડિયમમાં બોમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝલ સ્ક્વૉડ(BDDS) અને નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ(NDRF)ની ટીમ પણ ઉપસ્થિત રહેશે.
256 સીસીટીવી કેમેરા દ્વારા પોલીસની બાજ નજર
શંકાસ્પદ ગતિવિધિ અને સુરક્ષાને લઈને સ્ટેડિયમ ખાતે 256 સીસીટીવી કેમેરા અને 102 ડોર ફ્રેમ મેટલ ડીટેક્ટરથી પોલીસ દ્વારા બાજ નજર રાખવામાં આવશે. આ ઉપરાંત, ટ્રાફિક સંચાલન માટે 744 અધિકારી-કર્મીઓ, TRB અને હોમગાર્ડ તૈનાત રહેશે. જેમાં 1 JCP, 3 DCP, 4 ACP, 11 PI, 25 PSI ખડેપગે રહેશે.
પોલીસ કમિશનરે શું કહ્યું?
સમીક્ષા બાદ અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ. મલિકે જણાવ્યું હતું કે, T20 વર્લ્ડ કપની ફાઇનલ મેચને લઈને પોલીસ તરફથી તમામ તૈયારીઓ કરવામાં આવી છે. પ્રથમવાર ગેટ નંબર એક પર હોલ્ડિંગ એરિયા રાખવામાં આવ્યો છે. સ્ટેડિયમમાં 1 લાખ 10 હજારથી વધુ લોકો આવવાની શક્યતાઓ છે.

પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવા સૂચન
ટ્રાફિક મામલે પોલીસ કમિશનર જણાવ્યું કે, ફાઇનલ મેચ જોવા આવનારા લોકોને પોલીસે અપીલ કરી છે કે, દર્શકો પોતાના વાહનોના બદલે પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરીને સ્ટેડિયમ પહોંચે. સ્ટેડિયમ આવાગમન માટે મોડા સુધી બસો અને મેટ્રો ચાલુ રહેશે.
આ ઉપરાંત, ટિકિટોની કાળા બજારી કરતાં લોકો સામે પોલીસ કાર્યવાહી ચાલી રહી હોવાનું પોલીસ કમિશનરે જણાવ્યું હતું.
કયા રસ્તાઓ રહેશે બંધ?
મેચ દરમિયાન સ્ટેડિયમની આસપાસના વિસ્તારોમાં ટ્રાફિક જામ ન થાય તે માટે પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડી કેટલાક રસ્તાઓ 'નો એન્ટ્રી' ઝોન જાહેર કરવામાં આવ્યા છે. જનપથ ટી-જંક્શનથી મોટેરા સ્ટેડિયમ મેઇન ગેટ થઈ કૃપા રેસિડન્સી અને ત્યાંથી મોટેરા ગામ સુધીનો માર્ગ વાહનોની અવરજવર માટે રવિવારે સવારે 10:00 વાગ્યાથી મોડી રાત્રે 02:00 વાગ્યા સુધી સંપૂર્ણપણે બંધ રહેશે.
મુસાફરો માટે વૈકલ્પિક રૂટ
સ્ટેડિયમ તરફ જતા રસ્તા બંધ હોવાથી વાહનચાલકો તપોવન સર્કલ અને વિસત જંક્શનથી જનપથ થઈને પાવર હાઉસ તરફ જઈ શકાશે. પ્રબોધ રાવળ સર્કલથી કૃપા રેસિડન્સી થઈને ભાટ-કોટેશ્વર રોડ અથવા એપોલો સર્કલ તરફ અવરજવર કરી શકાશે.


