Get The App

સરગવાડામાં મહિલાઓ માથે બેડાં લઈ બે કિ.મી. દૂર પાણી ભરવા જવા મજબૂર

Updated: Mar 13th, 2026

GS TEAM

Google News
Google News
સરગવાડામાં મહિલાઓ માથે બેડાં લઈ બે કિ.મી. દૂર પાણી ભરવા જવા મજબૂર 1 - image

લોથલમાં કરોડોના ખર્ચે બનતા મેરીટાઇમ મ્યુઝિયમની બાજુમાં

'દીવા તળે અંધારું' જેવી સ્થિતિ વચ્ચે ગ્રામજનોનો છેલ્લા ૧૫ દિવસથી ટીપાં-ટીપાં પાણી માટે સંઘર્ષ, તળાવના પાણીનો ઉપયોગ કરવા મજબૂર

બગોદરાધોળકા તાલુકામાં કરોડોના ખર્ચે વિશ્વકક્ષાનું લોથલ મેરીટાઇમ મ્યુઝિયમ આકાર લઈ રહ્યું છે, જે ભારતની ભવ્ય વિરાસતને દુનિયા સમક્ષ રજૂ કરશે. પરંતુ, આ ભવ્યતાની બિલકુલ પાડોશમાં આવેલું સરગવાડા ગામ આજે પાયાની જરૃરિયાત એવા પીવાના પાણી માટે વલખાં મારી રહ્યું છે. 'દીવા તળે અંધારું' જેવી સ્થિતિ વચ્ચે ગ્રામજનો છેલ્લા ૧૫ દિવસથી ટીપાં-ટીપાં પાણી માટે સંઘર્ષ કરી રહ્યા છે.

સરગવાડા ગામે ઉનાળાની દસ્તક પૂર્વે જ જળ સંકટ ઘેરાયું છે. છેલ્લા બે અઠવાડિયાથી ગામમાં પાણી પુરવઠો ખોરવાયો છે. ભાલ પંથકમાં અત્યારે ચણા અને ઘઉંની કાપણીની સીઝન ચાલતી હોવાથી પુરુષો ખેત મજૂરીએ જાય છે, ત્યારે પાણીની વ્યવસ્થા કરવાનું આખું ભારણ મહિલાઓના માથે આવી પડયું છે. મહિલાઓને પીવાનું પાણી મેળવવા માટે દોઢથી બે કિલોમીટર દૂર વડિયા વિસ્તાર સુધી પગપાળા જવું પડે છે.

સ્થિતિ એટલી ગંભીર છે કે મહિલાઓ ગામના અશુદ્ધ તળાવના પાણીમાં કપડાં અને વાસણ ધોવા મજબૂર બની છે. ગંદા પાણીના વપરાશને કારણે ગામમાં ચામડીના રોગો અને અન્ય બીમારીઓ ફેલાવાનો ફાળો સેવાઈ રહ્યો છે. સ્થાનિક મહિલાઓએ રોષ ઠાલવતા જણાવ્યું હતું કે, અમે ૧૫ દિવસથી હેરાન થઈએ છીએ. સરકાર મ્યુઝિયમ પાછળ કરોડો ખર્ચે છે, પણ અમને પીવાનું પાણી આપી શકતી નથી.

 

તંત્રની બેદરકારી કે ગેરકાયદે કનેક્શનનું ગ્રહણ

આ જળ સંકટ પાછળ ટેકનિકલ ખામી કરતાં માનવસજત કારણો વધુ જવાબદાર હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ભોળાદ ગામ પાસેથી પસાર થતી મુખ્ય પાઈપલાઈનમાં અનેક ગેરકાયદેસર કનેક્શનો હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી છે.  આટલી મોટી સંખ્યામાં ગેરકાયદે જોડાણો કોની રહેમનજર હેઠળ ચાલી રહ્યા છે તે મોટો પ્રશ્ન છે.

ગ્રામજનોના મતે વારંવાર રજૂઆતો છતાં સ્થાનિક તંત્ર દ્વારા હજુ સુધી કોઈ નક્કર ઉકેલ લાવવામાં આવ્યો નથી

 

ડીડીઓને ગામની મુલાકાત લેવા અનુરોધ

સરગવાડાની આ વિકટ પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાને લેતા હવે ઉચ્ચ સ્તરેથી જિલ્લા વિકાસ અધિકારી  સરગવાડા ગામની પ્રત્યક્ષ મુલાકાત લે તેવી ગ્રામજનો આશા રાખી રહ્યા છે. ઉચ્ચ અધિકારીઓ ગામની મુલાકાત લે અને ગેરકાયદે કનેક્શનો કાપવાના કડક આદેશ આપે અને ગામ ને રોજે રોજ સમયસર પીવાનું શુદ્ધ પાણી મળી રહે.