લતાજીના માનમાં અમદાવાદ રેલવે સ્ટેશને રાષ્ટ્રધ્વજને અડધી કાંઠીએ ફરકાવાયો

અમદાવાદ, તા,06 ફેબ્રુઆરી 2022, રવિવાર
ભારતની મહાન ગાયિકા લતા મંગેશકરનું અવશાન થતા તેમના માનમાં રાષ્ટ્રીય શોક જાહેર કરાયો છે. તે અનુસંધાને આજે રવિવારે અમદાવાદ રેલવે સ્ટેશન પરિસરમાં ભારત દેશના રાષ્ટ્રધ્વજને અડધી કાંઠીએ લહેરાવવામાં આવ્યો હતો.
મુસાફરો અને ત્યાંથી પસાર થતા વાહનચાલકો, રાહદારીઓએ રાષ્ટ્રધ્વજને અડધી કાંઠીએ ફરકતો જોઇને લતાજીના માનમાં આંખો મીંચીને તેમના દિવ્ય આત્માની શાંતિ માટે ભગવાનને પ્રાર્થના કરી હતી.
શહેરીજનોએ લતાજીના અવશાનથી ભારે દુખની લાગણી અનુભવી છે. શહેરના વિવિધ વિસ્તારોમાં રવિવારે લતાજી માટે પ્રાર્થના સભા યોજાઇ હતી. તેમના અવશાનથી દેશને મોટી ખોટ પડી છે, તેમની ગેરહાજરી પુરી શકાય તેમ નથી એક આખી પેઢી તેમના સુરીલા ગીતો સાંભળીને મોટી થઇ છે ત્યારે આજે તેઓ હયાત નથી ત્યારે ભગવાન તેમના દિવ્ય આત્માને શાંતિ આપે , મોક્ષ આપે તેવી પ્રાર્થના શહેરીજનોએ ઠેરઠેર કરી હતી.




