Get The App

ખેડૂતોને પડતા પર પાટું: યુદ્ધની અસર ગુજરાતના ખેતરો સુધી પહોંચી, DAP ખાતરની ભારે અછત

Updated: Apr 23rd, 2026

GS TEAM

Google News
Google News
ખેડૂતોને પડતા પર પાટું: યુદ્ધની અસર ગુજરાતના ખેતરો સુધી પહોંચી, DAP ખાતરની ભારે અછત 1 - image

Gujarat Farmers: ઈઝરાયલ, અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને પગલે ખાતરના ઉત્પાદન પર અસર પહોંચી છે. એટલું જ નહીં, મીડિલ ઈસ્ટના દેશોમાંથી આવતા ખાતરના જથ્થામાં ઘટાડો થયો છે પરિણામે ગુજરાતમાં ડીએપી ખાતરની અછતની સ્થિતિ સર્જાઈ છે. વર્ષ 2026માં ખરીફ સિઝન માટે 39 મિલિયન ટન ખાતરની જરૂરિયાત સામે માત્ર 18 મિલિયન ટન જ સ્ટોક છે તે જોતાં આગામી દિવસોમાં ખાતરને લઈને ખેડૂતોની સમસ્યા વધુ વિકટ બને તેમ લાગી રહ્યું છે.

10 મહિનામાં ખાતરના ભાવમાં તોતિંગ વધારો

ડાય એમોનિયમ ફોસ્ફેટ અને નાઈટ્રોજન ફોસ્ફરસ, પોટેશિયમ પાયાનું ખાતર છે, જ્યારે યુરિયા પૂરક ખાતર છે. એક તરફ ખાતરના ઉત્પાદનમાં ઘટાડો થયો છે, સરકારે સબસિડીમાં ઘટાડો કર્યો છે તો બીજી તરફ ખેડૂતો માટે સિઝન સમયે ખાતર મેળવવા કલાકો સુધી લાઈનમાં ઊભું રહેવા મજબૂર થવું પડ્યું છે. આત્મનિર્ભર ભારતના નારા ગુંજી રહ્યા છે. ત્યારે હજુ પણ ભારતે ખાતર માટે આયાત પર આધાર રાખવો પડી રહ્યો છે.

કુલ એનપીકે ખાતરની માંગના માત્ર 65-70 ટકા જ ઘરેલુ ઉત્પાદન દ્વારા પૂર્ણ થાય છે, જ્યારે બાકીના 30-35 ટકા વૈશ્વિક બજારો પર આધાર રાખવો પડે છે. કુલ ખાતરનો વપરાશ 32.6 મિલિયન ટન થયો છે. નાઈટ્રોજનસ ખાતર પણ હજુ પણ આયાત પર આધારિત છે. ફોસ્ફેટિક ખાતરમાં 30-40 ટકા જ્યારે પોટાશમાં 100 ટકા આયાત પર આધાર રાખવો પડે તેમ છે. 2026ની ખરીફ સીઝન માટે 39 મિલિયન ટન માંગ છે, જ્યારે વર્તમાન સ્ટોક માત્ર 18 મિલિયન ટન જ છે. આ જોતાં હજુ ખાતર માટે ખેડૂતોને મુશ્કેલી વેઠવી પડશે.

આ પણ વાંચો: અમદાવાદમાં ઈન્સ્ટાગ્રામ સ્ટોરી મુદ્દે લોહિયાળ ખેલ! જુહાપુરામાં 19 વર્ષીય યુવકની છરીના ઘા ઝીંકી હત્યા

ડીએપી અને યુરિયા ખેડૂતોને મળતું નથી!

મહત્ત્વની વાત એ છે કે, છેલ્લા દસેક મહિનામાં ડી.એ.પી.માં 150 રૂપિયા, એન.પી.કે.માં 850 રૂપિયા, એમોનિયમ સલ્ફેટ 300 રૂપિયા અને પોટાશમાં 550 રૂપિયાનો ભાવ વધારો થયો છે. કેન્દ્ર સરકારે ખાતરની સબસિડી મેટ્રિક ટન દીઠ ફિક્સ કરી દેતા ખેડૂતોને આર્થિક માર ભોગવવો પડે છે. છેલ્લા બે વર્ષમાં ખરીફ અને રવિ એમ બંને સિઝનમાં ડીએપી અને યુરિયા ખેડૂતોને મળતું નથી પરિણામે ખેતીને નુકસાન થઈ રહ્યું છે.

પ્રદેશ કોંગ્રેસ પ્રવક્તા ડો. મનિષ દોશીએ આક્ષેપ કર્યો કે, 'ખાતરના ભાવ આસમાને છે, ખેડૂતોના ઇનપુટ ખર્ચ વધી ગયા છે અને પાક ઉત્પાદન ઘટવા તથા ખાદ્યપદાર્થોની મોંઘવારીનું જોખમ વધ્યું છે. કેન્દ્રના પર્યાપ્ત સ્ટોકના દાવા પોકળ છે જ્યારે વૈશ્વિક ભાવ વધી રહ્યા છે અને ઘરેલુ ઉત્પાદનમાં ઘટાડો છે. ખાતરના ભાવ તરત જ સ્થિર કરી ઘરેલુ યુરિયા અને ફોસ્ફેટિક ખાતરનું ઉત્પાદન ક્ષમતા વધારવા તાત્કાલિક પગલાં લેવા જોઈએ.'