Gujarat

જૂનાગઢના ભંગાર રસ્તાની હાલત નહીં સુધરે તો આંદોલનના મંડાણ

By GS Team
4 Mar 20201 min read
This article was originally published on 4 Mar 2020
જૂનાગઢના ભંગાર રસ્તાની હાલત નહીં સુધરે તો આંદોલનના મંડાણ

જૂનાગઢ,  તા.04 માર્ચ 2020, બુધવાર

જૂનાગઢના કાળવા ચોકથી જયશ્રી રોડ પર ભુગર્ભ ગટરના કામ બાદ રસ્તો બિસ્માર થઇ ગયો છે અને ધુળની ડમરી ઉડી રહી છે. જેનાથી લોકો - વેપારીઓ પરેશાન થઇ ગયા છે. આજે આ મુદ્દે શહેર કોંગ્રેસે રેલી યોજી કમિશનરને આવેદન પત્ર આપ્યું હતું અને આઠ દિવસમાં કાર્યવાહી નહીં થાય તો ઉગ્ર આંદોલન કરવા ચિમકી આપી છે. 

જૂનાગઢના મુખ્ય વિસ્તાર કાળવા ચોકથી જયશ્રી રોડ પર મનપા દ્વારા ભુગર્ભ ગટરની પાઇપલાઇન નાખવામાં આવી હતી. ત્યારબાદ રસ્તાને રિપેર કરવા અને ધુળ ઉપાડવામાં બેદરકારી દાખવવામાં આવી રહી છે. 

હાલ કાળવા ચોકથી જયશ્રી રોડ પર થઇ પસાર થવું મુશ્કેલ બન્યું છે. બિસ્માર રોડ અને ધુળની ડમરીથી લોકો અને વેપારીઓ ત્રાહીમામ થઇગયા છે. છતાં મનપા તંત્રના પેટનું પાણી હલતું નથી. 

એકાદ સપ્તાહ પૂર્વે વિસ્તારના વેપારીઓએ જયશ્રી રોડ પર ચક્કાજામ પણ કર્યો હતો. ત્યારે ખાતરી આપવામાં આવી હતી. પરંતુ સ્થિતીમાં સુધારો થયો નથી. 

આજે જૂનાગઢ શહેર - કોંગ્રેસે જયશ્રી રોડ પરથી મનપા કચેરી સુધી રેલી યોજી હતી અને કમિશનરને આવેદન પત્ર આપ્યું હતું. જેમાં બિસ્માર રોડ અને ધુળની ડમરીના લીધે અવારનવાર અકસ્માત થાય  છે. વેપારીઓને ધુળના લીધે પરેશાની થઇ રહી છે. આગામી આઠ દિવસમાં આ અંગે કાર્યવાહી નહીં થાય તો ઉગ્ર આંદોલન કરવાની ચિમકી આપવામાં આવી છે.