Gujarat

કોરોનાના પગલે જિલ્લામાં 12 હજાર લોકો હોમ કવોરેન્ટાઈન

By GS Team
13 Jun 20202 mins read
This article was originally published on 13 Jun 2020
કોરોનાના પગલે જિલ્લામાં 12 હજાર લોકો હોમ કવોરેન્ટાઈન

ગાંધીનગર, તા. 13 જૂન 2020, શનિવાર

ગાંધીનગર જિલ્લામાં કોરોનાના કેસ સતત વધી રહયા છે. રાજય સરકારના આંકડા મુજબ ગાંધીનગર જિલ્લામાં હાલની સ્થિતિએ ૪પ૦ કરતાં વધુ કેસ નોંધાઈ ચુકયા છે ત્યારે થોડા દિવસોથી વધી રહેલા કેસના પગલે સરકારી અને હોમ કવોરેન્ટાઈન પણ વધ્યા છે. હાલની સ્થિતિએ સમગ્ર જિલ્લામાં ૧રર૯૮ લોકો વિવિધ કવોરેન્ટાઈન હેઠળ રાખવામાં આવ્યા છે. જેમાં હોમ કવોરેન્ટાઈનની સંખ્યા વધારે છે. 

કોરોનાના દર્દીઓ જે પ્રકારે સમગ્ર રાજયમાં વધી રહયા છે તેના કારણે ચેપ વધુ ઝડપી ફેલાવાની શક્યતા છે. લોકડાઉન પૂર્ણ થયા બાદ હવે બજારો પણ ધમધમી રહયા છે. લોકો સોશ્યલ ડીસ્ટેન્સીંગનું પાલન કર્યા વગર ફરતાં હોવાથી ગાંધીનગર જિલ્લામાં ગત તા.૧ જુનથી કેસોમાં સતત વધારો નોધાઈ રહયો છે. જિલ્લામાં હાલની સ્થિતિએ રાજય સરકારના આંકડા મુજબ ૪પ૦ કરતાં વધુ કેસ નોંધાઈ ગયા છે. જેમાં રપ કરતાં વધુ લોકોના મૃત્યુ પણ થઈ ચુકયા છે. આ સ્થિતિમાં પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવેલા તેના પરિવારજનો અને અન્ય લોકોને તંત્ર દ્વારા કવોરેન્ટાઈન કરવામાં આવે છે. 

ગાંધીનગર જિલ્લામાં હાલની સ્થિતિએ ૧રર૯૮ લોકોને વિવિધ કવોરેન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે. તાલુકા દીઠ નજર કરીએ તો ગાંધીનગર તાલુકામાં ૩૯૮૨ લોકો હોમ કવોરેન્ટાઈન જયારે ર૮ લોકો ફેસેલીટીમાં છે. આમ આ તાલુકાના ૪૦૧૦ લોકો કવોરેન્ટાઈન હેઠળ છે. જ્યારે દહેગામમાં ૧૭૭૯ લોકો કવોરેન્ટાઈન હેઠળ છે. માણસા તાલુકામાં ૧૩૫૫ લોકો કવોરેન્ટાઈન હેઠળ છે.  જ્યારે સૌથી વધારે કલોલ તાલુકામાં ૫૧૪૪ લોકો કવોરેન્ટાઈન છે જેમાં પ૦૪૧ હોમ કવોરેન્ટાઈન અને ૧૦૩ લોકો ખાનગી ફેસેલીટીમાં કવોરેન્ટાઈન કરવામાં આવ્યા છે. જેમજેમ કોરોનાના કેસ વધશે તેમ કવોરેન્ટાઈનની સંખ્યામાં પણ સતત વધારો જોવા મળશે.