બારેજા ઝાપડી માતાના મંદિર પાસે આધેડને ટક્કર મારી મોતને ઘાટ ઉતારી કાર ચાલક ફરાર

અમદાવાદ,રવિવાર
અમદાવાદ જિલ્લામાં બેદરકારી પૂર્વક તેમજ પૂર ઝડપે વાહન ચલાવવાના કારણે અકસમાતે મોત તથા હિટ અન્ડ રનની ઘટનાઓ વધી રહી છે. બારેજા પાસે રોડ ક્રોસ કરી રહેલા આધેડને ટક્કર મારી મોતને ઘાટ ઉતારી કાર ૨ચાલક ફરાર થઇ ગયો હતો.અસલાલી પોલીસે ગુનો નોંધી વાહન ચાલકની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે.
ભત્રીજો પહોચ્યા તો કાકા રોડ ઉપર લોહી લુહાણ હાલતમાં તરફડીયા મારી રહ્યા હતા ઃ સારવાર દરમિયાન સિવિલમાં મોત નીપજ્યું
આ કેસની વિગત એવી છે કે દસક્રોઇ તાલુકાના બારેજા પાસે હળમતીયા ગામમાં રહેતા અર્જુનભાઇ કરતાજી મારવાડીએ અસલાલી પોલીસ સ્ટેશનમાં અજાણ્યા બાઇક ચાલક સામે ગુનો નોંધાવ્યો છે કે બારેજા ખાતે રહેતા ફરિયાદીના કાકા વિરાજી અસલાજી મારવાડી તા.૨૫ના રોજ સાંજે બારેજા ઝાપડી માતાના મંદિર પાસેથી રોડ ક્રોસ કરી રહ્યા હતા, આ સમયે પૂર ઝડપે આવી રહેલી કારના ચાલકે તેમને ટક્કર મારી હતી. જેથી યુવકને ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન મોત થયું હતું. આ ઘટના અંગે અસલાલી પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આસપાસના સીસીટીવી ફૂટેજ આધારે આરોપીની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે નરોડા સૈજપુર બોઘા ખાતે હિટ અન્ડ રનની ઘટના બની હતી જેમાં રોડ ક્રોસ કરી રહેલા યુવકને ટક્કર મારી મોતને ઘાટ ઉતારી બાઇક ૨ચાલક ફરાર થઇ ગયો હતો તેમજ તા. ૧૮ના રોજ સમી સાંજે એક અજાણ્યા વૃધ્ધ હાજીપુરા ગાર્ડન તરફથી પગપાળા આવતા આ સમયે પોલીસ કમિશનર કચેરી બાજુથી પૂર ઝડપે મોપેડ ચાલક આવી રહ્યો હતો, તેણે નમસ્તે સર્કલ પાસે વૃધ્ધને ટક્કર મારીને ફરાર થઇ ગયો હતો, સારવાર દરમિયાન વૃધ્ધનું મોત થયું હતું




