Get The App

પેટલી પ્રા. શાળામાં આચાર્ય અને શિક્ષકો વચ્ચેના વિવાદમાં ઉચ્ચસ્તરીય તપાસ શરૂ

Updated: Mar 17th, 2026

GS TEAM

Google News
Google News
પેટલી પ્રા. શાળામાં આચાર્ય અને શિક્ષકો વચ્ચેના વિવાદમાં ઉચ્ચસ્તરીય તપાસ શરૂ 1 - image

- જિલ્લા વિકાસ અધિકારીને અપાયેલા આવેદન બાદ

- નાયબ જિ. પ્રાથમિક શિક્ષણાધિકારીની ટીમે શાળાના રેકોર્ડ અને શૈક્ષણિક પાસાંઓની ચકાસણી હાથ ધરી

નડિયાદ : વસો તાલુકાની પેટલી પ્રાથમિક શાળામાં આચાર્ય અને શિક્ષકો વચ્ચે ચાલી રહેલો આંતરિક વિવાદ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. આચાર્ય નરેન્દ્ર પટેલ સામે શિક્ષકોએ કરેલા ગંભીર આક્ષેપોને પગલે પ્રાથમિક શિક્ષણ વિભાગની ટીમે શાળામાં ધામા નાખી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. જિલ્લા વિકાસ અધિકારીને અપાયેલા આવેદનપત્ર બાદ તંત્ર સફાળું જાગ્યું છે અને શાળાના તમામ રેકોર્ડ સહિત આથક ગેરરીતિઓની પણ ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

પેટલી પ્રાથમિક શાળાના આચાર્ય અને શિક્ષકો વચ્ચેના કલહને પગલે શિક્ષણ જગતમાં ખળભળાટ મચી ગયો છે. લાંબા સમયથી ચાલી રહેલા આ ગજગ્રાહમાં શિક્ષકોએ આચાર્ય નરેન્દ્ર પટેલ પર અનેક ગંભીર આક્ષેપો મૂક્યા હતા, જે સંદર્ભે જિલ્લા કક્ષાએ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આ મામલાની ગંભીરતાને ધ્યાનમાં લઈને નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી પોતાની ૭ સભ્યોની ટીમ સાથે પેટલી પહોંચ્યા હતા. તપાસ ટીમમાં વસો અને નડીઆદના ટીપીઓ, સીઆરસી કોઓડનેટર અને મહિલા પ્રતિનિધિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. ટીમે શાળામાં પહોંચતાની સાથે જ આચાર્ય અને ફરિયાદી શિક્ષકોના નિવેદનો નોંધવાની પ્રક્રિયા હાથ ધરી હતી.

તપાસ દરમિયાન શાળાના સંપૂર્ણ રેકોર્ડની ચકાસણી કરવામાં આવી રહી છે. આચાર્ય વિરૂદ્ધ માત્ર વહીવટી જ નહીં, પણ શૈક્ષણિક બેદરકારીના પણ આક્ષેપો છે, જેને પગલે વિદ્યાર્થીઓના અભ્યાસ પર શું અસર પડી છે તેની પણ તપાસ થઈ રહી છે. નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ જણાવ્યું હતું કે, જો કોઈ પણ સ્તરે ભૂલ કે કચાસ જણાશે તો મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમની કલમ ૭૦ અને ૭૦ બી હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત આરટીઈ એક્ટ ૨૦૦૯ અને ગુજરાત પંચાયત શિષ્ટ સેવાની કલમો હેઠળ આચાર્ય સામે શિક્ષાત્મક પગલાં લેવાની પણ તૈયારીઓ દર્શાવવામાં આવી છે.

શાળામાં ચાલતી આ તપાસને પગલે ગ્રામજનો અને એસએમસી સભ્યોમાં પણ ભારે ઉત્તેજના જોવા મળી રહી છે. તપાસ અધિકારીઓએ એસએમસી સભ્યો અને ગ્રામજનો સાથે પણ વાતચીત કરી તથ્યો જાણવાનો પ્રયાસ કર્યોે છે. ખાસ કરીને પ્રવાસના નાણાં અને ગ્રાન્ટના ઉપયોગ બાબતે પણ આક્ષેપો હોવાથી તે દિશામાં પણ તપાસ લંબાવવામાં આવી છે. આ તપાસનો અહેવાલ તૈયાર કરીને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને સોંપવામાં આવશે, જેના આધારે આખરી નિર્ણય લેવામાં આવશે.

સોડપૂરની ગેરરીતિની તપાસ હજુ પણ અદ્ધરતાલ

નરેન્દ્ર પટેલ અગાઉ જ્યારે સોડપૂર શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા હતા, ત્યારે પણ વિવાદોમાં રહ્યા હતા. સોડપૂરમાં દાનના નાણાંમાંથી ૮૦ બ્રાસ બ્લોક નાખવાની મંજૂરી હોવા છતાં માત્ર ૨૦ બ્રાસ બ્લોક જ નાખવામાં આવ્યા હોવાના આક્ષેપ થયા હતા. બાકીના નાણાંનો અંગત ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું. આ ભ્રષ્ટાચાર બદલ તેમની સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવાને બદલે માત્ર બદલી કરીને સંતોષ મનાયો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. એક વર્ષ વીતવા છતાં ખાતાકીય તપાસ પૂર્ણ ન થતા તંત્રની કામગીરી સામે પણ સવાલો ઉભા થયા છે.

સફાઈ ગ્રાન્ટ અને પ્રવાસના નાણાંમાં ઉચાપતની શંકા

પેટલી શાળામાં સફાઈ માટે આવતી સરકારી ગ્રાન્ટનો યોગ્ય ઉપયોગ થયો છે કે કેમ તે અંગે પણ તપાસ ટીમે તપાસ શરૂ કરી છે. આ ઉપરાંત પ્રવાસ માટે વાલીઓ પાસેથી ઉઘરાવવામાં આવેલા ૯૦૦ રૂપિયાના હિસાબમાં પણ ગરબડ હોવાની ફરિયાદો ઉઠી છે. વાલીઓએ આક્ષેપ કર્યોે છે કે, આચાર્ય દ્વારા નાણાંની ઉચાપત કરવામાં આવી છે. આ મામલે તપાસ ટીમે વાલીઓ અને વિદ્યાર્થીઓના નિવેદનો લઈને સત્ય શું છે તે જાણવાની તજવીજ હાથ ધરી છે.