Get The App

હલધર ગૃપના રોકાણકારો હજી રડે છે અને 6:30 કરોડની વસુલાત માટે બેંક મિલકતોની હરાજી કરશે

Updated: Apr 20th, 2026

GS TEAM

Google News
Google News
હલધર ગૃપના રોકાણકારો હજી રડે છે અને 6:30 કરોડની વસુલાત માટે બેંક મિલકતોની હરાજી કરશે 1 - image

Vadodara : નાના રોકાણકારોને લોભામણી લાલચ આપીને કરોડો રૂપિયાની ઉઘરાણી કર્યા બાદ રોકાણકારોને રડાવનાર હલધર રિયલ્ટી એન્ડ એન્ટરપ્રાઈઝ લી. તેમજ હલધર વિકાસ ક્રેડિટ કો.ઓ.સો.લી.એ બેંકોને પણ કરોડો રૂપિયાનો ચૂનો ચોપડયો હોવાની વિગતો બહાર આવી છે. હલધર ગૃપની સંપત્તિ વેચીને રોકાણકારોને હજી સુધી રૂપિયા પરત મળ્યા નથી પરંતુ બેંક દ્વારા તેની મિલકતોની હરાજી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.

નાણાં મંત્રાલય દ્વારા બેંક લોન ભરવામાં નિષ્ફળ જનાર હલધર ગૃપની મિલકતો વેચવા માટે રિકવરી ઓફિસરની નિમણૂંક કરવામાં આવી છે. બેંક ઓફ બરોડામાંથી બાકી નીકળતી લોન માટે મેસર્સ હલધર રિયલ્ટી એન્ડ એન્ટરપ્રાઈઝ લી. અને અન્ય અરવિંદકુમાર લુંકરણ વખરીયા, લુંકરણ કચરાજી વિશ્વરીયા, અનિતા અરવિંદ વલ્લરીયા (ત્રણે રહે.નીલાંબર-1, વાસણા જકાતનાકા) અને હલધર વિકાસ ક્રેડિટ કો.ઓ.સો.લી.ને જવાબદાર ઠેરવવામાં આવ્યા છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે હલધર ગૃપના સંચાલકોને રૂા.6.50 કરોડની લોન ચૂકવવામાં વારંવાર નોટિસો પાઠવવામાં આવી હતી પરંતુ હજી સુધી તેઓ લોનની રકમ ભરવામાં અસમર્થ રહ્યા હતાં જેથી બેંકની તારણમાં મૂકેલી મિલકતોની હરાજી કરવી જરૂરી છે. જે મિકતોની હરાજી કરવાની છે તેમાં હરણી-વારસિયા રિંગરોડ પર બિલીપત્ર ખાતે પહેલા માળની મિલકતો તેમજ નિલક્ષ સિટાડેલ ઓગેનાઈઝેશનની કુલ પાંચ મિલકતોનો સમાવેશ થાય છે.

રોકાણકારોના કરોડો રૂપિયા ઓહિંયા કરી જનાર હલધર ગૃપની મિલકતોની હરાજી તા.2 જૂનના રોજ રાખવામાં આવી છે. મહત્વની બાબત એ છે કે રોકાણકારોની રકમ હજી સુધી પરત મળી નથી પરંતુ બેંકો દ્વારા રકમ પરત કરવાની પ્રક્રિયાની શરૂઆત કરી દેવામાં આવી છે.

હલધર ગૃપમાં 43000 રોકાણકારોએ રૂા.82 કરોડથી વધુ ગુમાવ્યા

નાના રોકાણકારો પાસેથી કરોડો રૂપિયા લઈને છેતરપિંડી કરનાર હલધર ગૃપ સામે પોલીસ ફરિયાદ થયા બાદ રાજ્ય સરકાર દ્વારા જીપીઆઈડી |એક્ટ-2003 મુજબ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ એક્ટ મુજબ હલધર રિયલ્ટી એન્ડ એન્ટરપ્રાઈઝમાં 22206 રોકાણકારોએ પોતાની કુલ રૂા.40 કરોડ મૂડી ગુમાવી હોવાના દાવા કર્યા હતા જ્યારે હલધર ક્રેડિટમાં 21526 રોકાણકારોએ 42.27 કરોડની મૂડી ગુમાવી હોવાના દાવા કર્યા હતાં. જો કે હજી પણ આ એક્ટ મુજબ રોકાણકારોને પોતાની બચતની મૂડી પરત મળી નથી.