ગુજરાતમાં 6 મહિનામાં TBના 65,000થી વધુ કેસ, ICMRની ડ્રોન ટેક્નોલોજીથી રિપોર્ટ ઝડપથી મળતો થયો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Gujarat TB Cases NTEP Data: કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા 'નેશનલ ટીબી એલિમિનેશન પ્રોગ્રામ' (NTEP) હેઠળ જારી કરવામાં આવેલા તાજેતરના આંકડા મુજબ, ગુજરાતમાં વર્ષ 2026ના પ્રથમ 6 મહિનામાં (જાન્યુઆરીથી જૂન દરમિયાન) TB(ટ્યુબરક્યુલોસિસ)ના કુલ 65,307 કેસો નોંધાયા છે. આ અગાઉ વર્ષ 2025 દરમિયાન સમગ્ર રાજ્યમાં 1,31,850 કેસ સરકારી ચોપડે નોંધાયા હતા. રાજ્યમાં TBના દર્દીઓને શોધીને તેમને સમયસર સારવાર આપવા માટે આરોગ્ય વિભાગ દ્વારા સઘન ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે.
કેસોની સંખ્યામાં ઉત્તર પ્રદેશ દેશમાં પ્રથમ ક્રમે
કેન્દ્રીય મંત્રાલયના આંકડા અનુસાર, દેશભરમાં TBના સૌથી વધુ દર્દીઓ ઉત્તર પ્રદેશમાં નોંધાયા છે. યુપીમાં વર્ષ 2025માં 7,10,242 કેસ અને વર્ષ 2026ના પ્રથમ 6 મહિનામાં 3,37,282 કેસ સામે આવ્યા છે. દેશના અન્ય રાજ્યોની સરખામણીમાં ગુજરાત પણ TBના વધુ દર્દીઓ ધરાવતા રાજ્યોની યાદીમાં સ્થાન ધરાવે છે.
રાજ્ય | વર્ષ 2025 | જાન્યુઆરીથી જૂન, 2026 |
ઉત્તર પ્રદેશ | 7,10,242 | 3,37,282 |
બિહાર | 2,21,692 | 1,14,461 |
મહારાષ્ટ્ર | 2,17,994 | 95,153 |
મધ્ય પ્રદેશ | 1,73,527 | 75,890 |
રાજસ્થાન | 1,63,522 | 82,348 |
ICMRની 'i-DRONE' પદ્ધતિથી આશીર્વાદરૂપ પરિણામો
રાજ્યવાર આંકડાઓ જાહેર કરવાની સાથે હેલ્થ મિનિસ્ટ્રીએ ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના 'i-DRONE' ઇનિશિયેટિવ દ્વારા મળેલી મોટી સફળતા પર પણ પ્રકાશ ફેંક્યો હતો. તેલંગાણાના યાદાદ્રી-ભુવનગિરી જિલ્લામાં AIIMS બીબીનગર અને NTEPના સહયોગથી હાથ ધરાયેલા એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, દુર્ગમ અને ગ્રામીણ વિસ્તારોમાંથી TBના સેમ્પલ લેબોરેટરી સુધી પહોંચાડવા માટે ડ્રોનનો ઉપયોગ અત્યંત અસરકારક સાબિત થયો છે.
ડ્રોન ટેકનોલોજીના મુખ્ય ફાયદા
- ઝડપી નિદાન: દર્દીના સેમ્પલ લેવાથી લઈને નિદાન અને રિપોર્ટ આવવાનો સમયગાળો 15 દિવસથી ઘટીને માત્ર 5 દિવસ થઈ ગયો છે.
- ખર્ચમાં મોટો ઘટાડો: ગ્રામીણ દર્દીઓને સેમ્પલ આપવા કે તપાસ કરાવવા દૂર-દૂર સુધી જવું પડતું ન હોવાથી તેમના ખિસ્સા પરનો બોજ સરેરાશ ₹9,451થી ઘટીને માત્ર ₹91 થઈ ગયો છે.
પરંપરાગત રીતે દર્દીઓને હોસ્પિટલ સુધી ધક્કા ખાવાને બદલે ડ્રોન દ્વારા હવાઈ માર્ગે સેમ્પલ કલેક્શન સેન્ટર સુધી પહોંચાડવાથી કિંમતી સમયની બચત થાય છે અને દર્દીની સારવાર પણ વહેલી તકે શરૂ કરી શકાય છે. આગામી દિવસોમાં આ ટેકનોલોજી દેશના અન્ય દુર્ગમ વિસ્તારોમાં પણ અમલી બનાવવામાં આવે તેવી શક્યતા છે.









