Gujarat

ગુજરાતમાં પાંચ વર્ષમાં આગની વિવિધ ઘટનામાં 3176 લોકોના મોત, જુઓ NCRBના ચોંકાવનારા આંકડા

By GS Team
26 May 20244 mins read
This article was originally published on 26 May 2024
TukuTouch Logo
રાજકોટમાં TRP ગેમ ઝોનમાં આગ લાગતા 28 લોકોના મોત થયા છે. ગુજરાતમાં આગને કારણે NCRBનો જે ડેટા સામે આવ્યો છે તેમાં ચિંતાજનક અને ચોંકાવનારા ખુલાસા થયા છે. રાજ્યમાં છેલ્લા પાંચ વર્ષમાં આગને કારણે 3176 લોકોના મોત થયા હોવાનો NCRBના ડેટામાં ખુલાસો થયો છે. રાજ્યમાં આગની 3100થી વધુ ઘટના બની છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગુજરાતમાં પાંચ વર્ષમાં આગની વિવિધ ઘટનામાં 3176 લોકોના મોત, જુઓ NCRBના ચોંકાવનારા આંકડા

Rajkot Game Zone Fire : રાજકોટમાં TRP ગેમ ઝોનમાં આગ લાગતા 28 લોકોના મોત થયા છે. ગુજરાતમાં આગને કારણે NCRBનો જે ડેટા સામે આવ્યો છે તેમાં ચિંતાજનક અને ચોકાવનારા ખુલાસા થયા છે. રાજ્યમાં છેલ્લા પાંચ વર્ષમાં આગને કારણે 3176 લોકોના મોત થયા હોવાનો NCRBના ડેટામાં ખુલાસો થયો છે. રાજ્યમાં આગની 3100થી વધુ ઘટના બની છે.

રાજ્યમાં આગની ઘટનામાં વધારો

ગુજરાતમાં આગથી થતા અકસ્માતમાં થતા મૃત્યુના આંકડા ચોંકાવનારા અને ચિંતાનજક છે. NRCB દ્વારા આગથી થતા અકસ્માતમાં વર્ષ 2018થી 2022 દરમિયાન આગને કારણે 3176 લોકોના મોત થયા છે. છેલ્લા પાંચ વર્ષમાં આગથી થતા અકસ્માતની 3100 ઘટનાઓ બની છે. વર્ષ 2021 અને 2022માં આગથી થતા અકસ્માતની 729 ઘટનાઓ બની છે. બે વર્ષમાં આગથી થતા અકસ્માતમાં 737 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.  

ગુજરાતની આ મોટી ઘટનાઓ ક્યારેય નહીં ભૂલાય


25 મે-2024, TRP અગ્નિકાંડ, રાજકોટ : શનિવારે સાંજે નાના-મવા રોડ પર સ્થિત ગેમ ઝોનમાં આ દુર્ઘટના સર્જાઈ ત્યારે બાળકો સહિત ઘણા લોકો રમી રહ્યા હતા. આ માસૂમ બાળકોના માતા-પિતાને ક્યાં ખબર હતી કે, આ બાળકોનું હાસ્ય એક જ ક્ષણમાં ખતમ થઈ જશે. ભીષણ આગે ટીઆરપી ગેમ ઝોનની બે માળની ઈમારતને પોતાની લપેટમાં લઈ લીધી. ઉનાળાની રજાઓ અને વીકએન્ડના ધસારાને કારણે બિલ્ડિંગમાં અંદાજે 300 લોકો હાજર હતા જેમાંથી વધુ પડતા બાળકો હતા. શોધ અને બચાવ કામગીરી ચાલુ છે, એક વ્યક્તિ હજુ પણ ગુમ છે. આ દુર્ઘટનામાં 12 બાળકો સહિત 35 લોકોના મોત થઈ ગયા છે.


30 ઓક્ટોબર 2022, બ્રિજ દુર્ઘટના, મોરબી : 30 ઓક્ટોબરના રોજ મોરબી બ્રિજ દુર્ઘટનામાં 135 લોકોએ જીવ ગુમાવ્યા હતા. કોને ખબર હતી કે એક પુલ થોડી જ સેકન્ડમાં એવી રીતે તૂટી જશે કે લોકોની ખુશી માતમમાં બદલાઈ જશે. મોરબી શહેરમાં રવિવારે સાંજે બનેલી ભયાનક ઘટના છેલ્લા ઘણા વર્ષોમાં ભારતમાં બનેલી સૌથી ખરાબ દુર્ઘટમાંથી એક છે. તેમાં 135 લોકોના મોત થયા હતા, જેમાં મોટાભાગે મહિલાઓ, બાળકો અને વૃદ્ધો હતા. 137 વર્ષ જૂનો ઝૂલતો પુલ માત્ર પાંચ દિવસ પહેલા સમારકામ બાદ ફરીથી ખુલ્લો મુકાયો હતો.


18 જાન્યુઆરી 2023- હરણી બોટ દુર્ઘટના, વડોદરા : 18 જાન્યુઆરી 2023ના રોજ ગુજરાતના વડોદરાના હરણી તળાવમાં વિદ્યાર્થીઓથી ભરેલી બોટ પલટી જતાં 14 વિદ્યાર્થી અને બે શિક્ષકો સહિત 16 લોકોનાં મોત થયા હતા. જ્યારે આ દુર્ઘટના સર્જાઈ ત્યારે બે ડઝન વિદ્યાર્થીઓ અને ચાર શિક્ષકો પિકનિક મનાવી રહ્યા હતા અને હરણી તળાવમાં બોટની સવારી કરી રહ્યા હતા. 


01 મે-2021, પટેલ વેલ્ફેર કોવિડ હોસ્પિટલ, ભરૂચ : ભરૂચ ખાતે જંબુસર બાયપાસ રોડ પર આવેલી પટેલ વેલફેર હોસ્પિટલના કોરોના કેર વોર્ડમાં પહેલી મે-2021માં આગ લાગી હતી. આ દુર્ઘટનામાં આઈસીયુ વોર્ડ સુધી આગની લપેટો પહોંચી ગઈ હતી અને હોસ્પિટલ પરિસરમાં ભારે ભાગદોડ મચી ગઈ હતી. દુર્ઘટના અંગે જાણ થતા જ તાત્કાલિક બચાવ કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું હતું પરંતુ સમગ્ર દુર્ઘટનામાં 12 દર્દીઓ, સ્ટાફના 2 કર્મી સહિત 16 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો.


06 ઓગસ્ટ-2020, શ્રેય હોસ્પિટલ, અમદાવાદ : અમદાવાદના નવરંગપુરામાં આવેલી શ્રેય હોસ્પિટલમાં ઓગસ્ટ 2020માં આગ લાગવાની ઘટના બની હતી. જેમાં કોરોનાની સારવાર લઇ રહેલા આઠ દર્દીઓના મોત નીપજ્યા હતા. કોરોનાના કાળ દરમિયાન છ ઓગસ્ટ ૨૦૨૦ના રોજ નવરંગપુરામાં આવેલી શ્રેય હોસ્પિટલમાં વેન્ટીલેટરમાં શોર્ટ સર્કિટના કારણે આઇસીયુમાં આગ લાગી હતી. જેમાં કોરોનાની સારવાર લઇ રહેલા આઠ દર્દીઓના મરણ થયા હતા અને અનેક લોકોને ઇજાઓ પહોંચી હતી. 


24 મે-2019, તક્ષશિલા-સુરત : સુરતના સરથાણા વિસ્તારમાં કોચિંગ સેન્ટરમાં લાગેલી આગમાં ઓછામાં ઓછા 22 વિદ્યાર્થીના મોત થયા હતા, જ્યારે અનેક ઘાયલ થયા હતા. આ કોચિંગ સેન્ટર તક્ષશિલા કોમ્પ્લેક્સના ત્રીજા અને ચોથા માળે આવેલું હતું. તેમાં મોટાભાગના કિશોરો હતા. તમામ વિદ્યાર્થીઓના મોત ગૂંગળામણને કારણે અને કોમ્પ્લેક્સમાંથી આગથી બચવા કૂદ્યા હોવાના કારણે થયા હતા. આગ લાગી ત્યારે બાળકો પોતાને બચાવવા માટે બારીમાંથી કૂદતા પણ દેખાયા હતા, જે ખૂબ જ ભયાનક દ્રશ્યો હતા. આ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હતી.

તંત્ર ક્યાં સુધી આંખ આડા કાન કરશે?

તક્ષશિલા કાંડ સુરતથી TRP ગેમિંગ ઝોન રાજકોટ સુધી અનેકવાર ગંભીર અકસ્માત જોયા છે અને અનેક પરિવારોએ પોતાના સ્વજન ગુમાવ્યા છે. તંત્ર ક્યાં સુધી આંખ આડા કાન કરશે? ક્યાં સુધી આમ ને આમ નિર્દોષો ના જીવ જશે? શું તંત્ર ને જવાબદારીનું ભાન થશે અને યોગ્ય કાર્યવાહી કરશે ખરા?