દર 100માંથી 25-27 મતો મેળવનારનો જ્વલંત વિજય! શહેરોમાં ગીચ વસ્તી, કોર્પોરેટરો સ્થાનિક પણ નેતાઓ ઉત્સાહથી મતદાન થાય તેવા લોકપ્રિય નથી : 2021ની ચૂંટણીમાં અમદાવાદમાં માત્ર 42.51 ટકાએ મત આપ્યો હતો : 6 મનપાનું સરેરાશ માત્ર 46.08 ટકા
રાજકોટ, : ગુજરાતમાં ફરી એક વાર, મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીની પ્રક્રિયા ચાલે છે, જેનું મતદાન તા.26-4-2026 ના સવારે 7થી સાંજે 6 વાગ્યા દરમિયાન યોજાશે. પરંતુ, મહાનગરોમાં ગીચ વસ્તી, મતદાન મથક નજીક છતાં ગત ત્રણ ટર્મ ઈ.સ. 2010, 2015 અને છેલ્લે ઈ.સ. 2021ના મતદાનની ટકાવારી જોતા 50 ટકાથી પણ ઓછુ નિરસ મતદાન થયું છે.
સતત નીચા મતદાનના કારણે સ્થિતિ એવી સર્જાય છે કે કોઈ પક્ષ કૂલ મતદારોના માત્ર 25થી 27 ટકા મત લઈ જાય અર્થાત્ 100માંથી મોટાભાગના 70થી વધુ મતદારો જેને મત જ ન આપે તે પક્ષ જ્વલંત વિજય થયાની ઉજવણી કરીને પાંચ વર્ષ મન પડે તેવો વહીવટ કરતા રહે છે.
ગત ચૂંટણીનું મતદાન શિયાળામાં તા. 21 ફેબુ્રઆરી 2021ના થયું હતું અને ત્યારે રાજ્યમાં 6 મહાનગરપાલિકાની ચૂંટણી યોજાઈ હતી,જેમાં અમદાવાદમાં તો માત્ર 42.51 ટકાએ જ મત આપ્યો હતો. 6 મહાપાલિકાનું સરેરાશ 46.08 ટકા મતદાન હતું જે અગાઉની બે ચૂંટણી કરતા વધારે હતું! માત્ર જામનગરમાં દરેક ચૂંટણીમાં 50 ટકાથી વધુ મતદાન થાય છે.
હવે આ વર્ષે ચૂંટણી શિયાળામાં ઠંડી ઓછી અને નહીં ગરમી કે નહીં ઠંડી જેવું હવામાન હોય ત્યારે યોજાતી રહી છે છતાં મતદાન પાંખુ રહ્યું છે ત્યારે આ વષે ચૂંટણી ધોમધખતા તાપમાં વેકેશનના સમયમાં યોજાઈ રહી છે ત્યારે વધુ મતદાન પડકારરૂપ છે.
મહાનગરોમાં ચૂંટાયેલા કોર્પોરેટરો સ્થાનિક જ હોય છે અને લોકો સુધી પહોંચવા બહુ પ્રવાસ કરવો પડતો નથી. પરંતુ, રાજકારણમાં આવ્યા પછી, ચૂંટાયા પછી કોર્પોરેટરો જે આર્થિક સમૃધ્ધિમાં આળોટતા થાય અને મોટાભાગના તો ચૂંટણી પછી દર્શન જ ઓછા થાય તે સ્થિતિમાં હવે લોકપ્રિય કોર્પોરેટરોની સંખ્યા જુજ રહી છે.


