Get The App

VIDEO | ભદ્રના પાથરણાવાળાની રોજીરોટી આખરે પરત, ફેરિયાઓની તરફેણમાં હાઈકોર્ટના આદેશ બાદ 844 ઘરોમાં ખુશહાલી

Updated: Mar 17th, 2026

GS TEAM

Google News
Google News
Bhadra Patharnawala

Bhadra Patharnawala High Court Verdict : અમદાવાદના ઐતિહાસિક ભદ્ર વિસ્તારમાં વર્ષોથી રોજીરોટી મેળવતા પાથરણાવાળા માટે ગુજરાત હાઈકોર્ટનો હાલમાં આપેલો ચુકાદો ખુશહાલી લઈને આવ્યો છે. છેલ્લા 13 વર્ષથી ચાલતી કાનૂની લડત બાદ હાઈકોર્ટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને આદેશ આપતા કહ્યું હતું કે, આ તમામ 844 ફેરિયાને સત્વરે પુનઃસ્થાપિત કરો અને વેન્ડિંગ કાર્ડ ધરાવતા લોકોને 15 દિવસમાં પ્રક્રિયા પૂર્ણ કરો. હાઈકોર્ટના ચુકાદા બાદ ગુજરાત સમાચાર ડિજિટલની ટીમે ભદ્રમાં પાથરણાવાળા અને ત્યાં આવનારા લોકો સાથે વાત કરી હતી. અહીં ધંધો-વેપાર કરતા લોકોએ કબૂલ્યું હતું કે, છેલ્લા એક વર્ષથી કોર્પોરેશનની નીતિના કારણે અહીંના આર્થિક સંકડામણ, દેવું અને બેરોજગારીનો સામનો કરતા હતા, પરંતુ હવે આ પરિવારોમાં ખુશીનો માહોલ છે. આ ચુકાદાથી અનેક પરિવારોનું ગુજરાન સારી રીતે ચાલશે. એટલું જ નહીં, ભદ્રના ધમધમતા બજારની જૂની ઓળખ પણ પરત ફરશે, જેનાથી સામાન્ય નાગરિકોને પણ ફરી વાજબી ભાવે ખરીદીની તક મળશે.

VIDEO | ભદ્રના પાથરણાવાળાની રોજીરોટી આખરે પરત, ફેરિયાઓની તરફેણમાં હાઈકોર્ટના આદેશ બાદ 844 ઘરોમાં ખુશહાલી 2 - image

ભદ્રમાં પાથરણાવાળાના એસોસિએશનના પ્રમુખ સુરેન્દ્રસિંહ રાઠોડે જણાવ્યું કે, ગુજરાત હાઈકોર્ટમાં છેલ્લા 13 વર્ષથી ચાલતા કેસમાં ગરીબોને આખરે ન્યાય મળ્યો છે. જો કે 2019માં કોર્ટે ઓર્ડર કર્યો હોવા છતાં 2025માં કોર્પોરેશને ફેરિયાઓને હટાવી દીધા હતા, પણ હવે કોર્ટે ફરીથી 844 ફેરિયાને પુનઃસ્થાપિત કરવાનો હુકમ કર્યો છે. હાઈકોર્ટે પહેલા વેન્ડિંગ કાર્ડવાળાને બેસાડવા અને બાકીના લોકોની 15 દિવસમાં પ્રક્રિયા પૂરી કરીને પુનઃસ્થાપિત કરવાનો આદેશ કર્યો છે. અમે કોર્પોરેશનને તમામ વિગતો આપીને સંપૂર્ણ સહકાર આપીએ છીએ, પરંતુ તેમની તરફથી હજુ અમને પૂરો સાથ-સહકાર નથી મળતો. આ ચુકાદાથી ગરીબ પરિવારોની સ્થિતિ સુધરશે, જે દેવામાં ડૂબેલા હતા અને ખાવાના ફાંફા હતા, તેઓ રોજના 200-500 કમાઈ શકશે. તેમાંથી તેમના બાળકોનું ભણતર સહિતનો ખર્ચ નીકળી જશે.  


‘ધંધો ફરી સેટ થઈ જશે, ઉછીના પાછા આપી દઈશું’

અહીં વેપાર કરતા મંગુબેન ચુનારાએ જણાવ્યું કે, અમે અહીં વર્ષોથી કટલરીનો ધંધો કરીએ છીએ, પરંતુ છેલ્લા 12 મહિનાથી અહીં વેપાર નહોતો કરવા દેવાતો. જેના કારણે છ મહિના સુધી અમારે બાળકોના ખાવા-પીવા અને ભણતર માટે ખૂબ તકલીફો વેઠવી પડી અને ઉછીના પૈસા લઈને ઘર ચલાવવું પડ્યું. અમારે મહિનાની કોઈ નક્કી આવક નથી હોતી. પરંતુ હવે રોજના 200-400 કમાઈ લઈશું. હાઈકોર્ટના આદેશ પછી ધંધો ફરી સેટ થઈ જશે, તો ઉછીના પૈસા પાછા આપી શકીશું. જો કે અત્યારે કોર્પોરેશનવાળા અમને અહીંથી ઊભા થવાનું કહી રહ્યા છે, પણ અમને વિશ્વાસ છે કે કોર્ટના આદેશ મુજબ અમને અમારી જગ્યાએ બેસવા દેવાશે. 

‘હાઈકોર્ટના આદેશથી માનસિક શાંતિ મળી’

ભદ્રમાં વર્ષોથી ઈમિટેશન જ્વેલરી અને કટલરીનો વેપાર કરતા ગોવિંદભાઈ નટવરલાલે જણાવ્યું કે હું છેલ્લા 6થી 12 મહિનાથી અમે ખૂબ જ સંઘર્ષ કર્યો છે. કોર્પોરેશને બીજી જગ્યાએ ધકેલી દેતા અમારો ધંધો ઠપ થઈ ગયો હતો. એ કપરા સમયમાં ઘરનું ભાડું અને છોકરાઓની સ્કૂલ ફી ભરવા પણ વ્યાજે પૈસા લીધા હતા. દાગીના વેચવા કે ગિરવે મૂકવા પડ્યા હતા. હવે હાઈકોર્ટના આદેશને પગલે ભદ્રમાં બેસીને વેપાર કરવાની ફરી તક મળી છે, જેથી મને માનસિક શાંતિ મળી છે. ભદ્રકાળી માતાની અસીમ કૃપાથી હવે અમે સૌ બજારવાળા અહીં હસતા-ખેલતા ધંધો કરી શકશે. 

VIDEO | ભદ્રના પાથરણાવાળાની રોજીરોટી આખરે પરત, ફેરિયાઓની તરફેણમાં હાઈકોર્ટના આદેશ બાદ 844 ઘરોમાં ખુશહાલી 3 - image

‘ચુકાદા પછી મેં આજે 500-600નો વેપાર કર્યો છે’

અહીં બંગડી સહિતના ઘરેણાંનો વેપાર કરતા શાંતાબેને જણાવ્યું કે, આજે હું ખૂબ જ રાહત અને શાંતિ અનુભવી રહી છું. આ પહેલાના છ મહિના અમારી સ્થિતિ બહુ ખરાબ હતી. મારે ઘરનું ભાડું ખર્ચીને અહીં આવવું પડતું અને ધંધો થતો નહીં. અમને શાંતિથી બેસવા પણ નહોતા દેવાતા. હાઈકોર્ટના આદેશ પહેલા અમારે ભાગવું-દોડવું પડતું પણ મારામાં હવે એવી દોડવાની તાકાત નથી, તેથી હું ઘણીવાર ખાલી બેસીને જ ઘરે જતી રહેતી. હવે ચુકાદા પછી સ્થિતિ સારી છે અને આજે મેં 500-600 રૂપિયાનું વેચાણ કર્યું છે, જેનાથી મારા ઘરનો ખર્ચ આરામથી નીકળી જાય છે.

આ પણ વાંચો: ભદ્ર પરિસરમાં 586 પાથરણાવાળાને ફરી જગ્યા આપો: ગુજરાત હાઇકોર્ટનો AMCને આદેશ

અહીં સામાન્ય માણસને પરવડે એવા બજેટમાં બધું મળે છેઃ દર્શનાર્થી 

ભદ્રકાળી માના દર્શન કરવા આવેલા રવિભાઈ રબારીએ જણાવ્યું કે, હું ભદ્રકાળી માતાના દર્શનાર્થે આવ્યો હતો. અહીંનું બજાર ઘણાં સમયથી બંધ હતું, જે હવે હાઈકોર્ટના ચુકાદા બાદ ફરી શરૂ થયું છે, જેના કારણે જે લોકોની રોજીરોટી અને રોજગાર છીનવાઈ ગયા હતા તે પાછા મળ્યા છે. લોકો પોતાની સગવડ મુજબ ફરી બેઠા છે. આ એક ખૂબ જ ઐતિહાસિક અને જૂનું બજાર છે, જ્યાં નાની વસ્તુથી માંડીને મોટી દરેક વસ્તુ મળી રહે છે અને તે પણ સામાન્ય માણસને પરવડે તેવા બજેટમાં. હું પોતે અને મારો પરિવાર, જેમાં મારા ઘરના સ્ત્રી સભ્યો અને બાળકો પણ સામેલ છે, અમે અહીંથી જ ખરીદી કરીએ છીએ. મારી અપેક્ષા છે કે આ બજાર સારી રીતે સ્થાયી થાય અને ભગવાન દરેકને રોજીરોટી આપે.

‘બજારમાં ગ્રાહકોની અવરજવર વધશે, તો દેવું ચૂકવી દઈશું’

અહીં ઈમિટેશન જ્વેલરી અને ફળફળાદિનો વેપાર કરતા રમીલાબેન પટણીએ જણાવ્યું કે, હાઈકોર્ટના ચુકાદા પછી અમને અમારી કાયદેસરની જગ્યા પાછી મળી છે. આ માટે અમે છ મહિના સુધી લડત લડ્યા કારણ કે, આ છ મહિના દરમિયાન અમારી આર્થિક સ્થિતિ ખૂબ જ નબળી હતી. અમે ફરીથી ધંધો શરૂ કરીને ધીમે ધીમે અમારા ઘર-સંસારની સ્થિતિ સુધારીશું. અત્યારે અમે વ્યાજે પૈસા લઈને કામ કરી રહ્યા છીએ, પણ જેમ જેમ બજારમાં ગ્રાહકોની અવરજવર વધશે તેમ અમારી આવક પણ વધશે. જો અમને રોજની 400-500 રૂપિયાની આવક થાય, તો તેમાંથી 200-300 રૂપિયા અમે ઘરના વપરાશ માટે કાઢીશું અને બાકીના 100-200 રૂપિયા અલગ બચાવીને, જે કંઈ દેવું કર્યું છે તે ચૂકવી દઈશું. 

ભદ્રની સાચી ઓળખ જ પાથરણાવાળા છેઃ ગ્રાહક 

અહીં ખરીદી કરવા આવેલા મધુબેને જણાવ્યું કે, હાઈકોર્ટે 13 વર્ષ પછી ગરીબોની વાત સાંભળીને આપેલા ચુકાદાથી મને સારું લાગ્યું. આ આદેશ પછી અહીં પાથરણાવાળા દેખાવા લાગ્યા છે. જે લોકો અહીં રોજ ખરીદી કરવા આવતા હતા, તેઓ પણ ખુશ છે. આવી બીજી કોઈ જગ્યા મળી શકે તેમ નથી. ભદ્રની સાચી ઓળખ જ આ પાથરણાવાળા છે કારણ કે છેલ્લા ચાર મહિનાથી માર્કેટ બંધ હતું ત્યારે અહીં ચકલુંય ફરકતું નહોતું, પરંતુ હવે ફરી લાખોની સંખ્યામાં લોકો વ્યાજબી ભાવે ખરીદી કરવા આવી રહ્યા છે અને બજાર ધમધમતું થયું છે. હાઈકોર્ટે જે કર્યું છે તે ઘણું સારું કર્યું છે.