ગુજરાતમાં ૫૦ દિવસ બાદ કોરોનાના એક્ટિવ કેસનો આંક પાંચ હજારથી નીચે

અમદાવાદ, સોમવાર
ગુજરાતમાં કોરોનાના
કેસની સાથે હવે કોરોનાથી થતાં મૃત્યુઆંકમાં પણ રાહતજનક ઘટાડો થઇ રહ્યો છે. છેલ્લા ૨૪
કલાકમાં કોરોનાના ૩૪૭ નવા કેસ સામે આવ્યા હતા જ્યારે ૬ વ્યક્તિના મૃત્યુ થયા હતા. આ
ઉપરાંત બીજી જાન્યુઆરી એટલે કે ૫૦ દિવસમાં પ્રથમવાર એક્ટિવ કેસનો આંક પાંચ હજારથી નીચે
આવી ગયો છે. રાજ્યમાં હાલ ૪૪૬૪ દર્દી કોરોનાની સારવાર હેઠળ છે. છેલ્લા એક સપ્તાહમાં
જ એક્ટિવ કેસમાં ૬૦%નો ઘટાડો થયો છે.
છેલ્લા ૨૪ કલાક
દરમિયાન બોટાદ, ડાંગ, દેવભૂમિ દ્વારકા, જુનાગઢ, ગ્રામ્ય, જામનગર શહેર, મહીસાગર, નર્મદા,
પંચમહાલ, પોરબંદરમાં કોરોનાનો એકપણ નવો કેસ નોંધાયો નથી. બીજી તરફ અમદાવાદ, વડોદરા
અને રાજકોટ એમ માત્ર ૩ જિલ્લા એવા છે જ્યાં કોરોનાના ૨૦થી વધુ નવા કેસ સામે આવ્યા છે.
જેમાં અમદાવાદ શહેરમાં ૧૨૮-ગ્રામ્યમાં ચાર સાથે સૌથી વધુ ૧૩૨ કેસનો સમાવેશ થાય છે.
વડોદરા શહેરમાં ૩૬-ગ્રામ્યમાં ૨૩ સાથે ૫૯, રાજકોટ શહેરમાં ૧૩-ગ્રામ્યમાં ૧૨ સાથે ૨૫
નવા કેસ નોંધાયા હતા. રાજ્યમાંથી અન્યત્ર બનાસકાંઠામાં ૧૯, ગાંધીનગર શહેરમાં ૧૬-ગ્રામ્યમાં
બે સાથે ૧૮, સુરત શહેરમાં ૮-ગ્રામ્યમાં ૭ સાથે ૧૫, આણંદમાં ૧૨, અરવલ્લીમાં ૯, દાહોદ-ખેડા-મોરબીમાં
૭, ભાવનગર શહેરમાં ૩-ગ્રામ્યમાં ૩ સાથે ૬, પાટણ-તાપીમાં ૫, નવસારીમાં ચાર, સુરેન્દ્રનગરમાં
૩, ભરૃચ-ગીર સોમનાથ-કચ્છ-સાબરકાંઠામાં બે જ્યારે અમરેલી-છોટા ઉદેપુર-જામનગર ગ્રામ્ય-જુનાગઢ
શહેર-મહેસાણા-વલસાડમાં ૧-૧ નવા કેસ સામે આવ્યા હતા.
છેલ્લા ૨૪ કલાકમાં
વડોદરામાંથી ૩, જામનગરમાંથી બે અને અમદાવાદમાંથી ૧ વ્યક્તિના કોરોનાથી મૃત્યુ થયા હતા.
રાજ્યમાં કોરોનાથી કુલ મરણાંક ૧૦૯૦૨ થયો છે. રાજ્યમાં હાલ ૪૪૬૪ એક્ટિવ કેસ છે અને ૪૦
દર્દી વેન્ટિલેટર પર છે. છેલ્લા ૨૪ કલાકમાં ૮૮૭ દર્દી કોરોનાથી સાજા થયા છે. અત્યારસુધી
કુલ ૧૨,૦૫,૫૪૩ દર્દી કોરોનાને હરાવી ચૂક્યા છે અને સાજા થવાનો દર ૯૮.૭૪% છે.
અમદાવાદ શહેરમાં
કોરોનાના નવા ૧૨૮ કેસ : ૧ મૃત્યુ
અમદાવાદ શહેરમાં
કોરોનાથી હવે સ્થિતિ નિયંત્રણ હેઠળ આવી ગઇ છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૧૨૮ નવા
કેસ સામે આવ્યા હતા જ્યારે બે દિવસ બાદ પ્રથમ મૃત્યુ નોંધાયું હતું. અમદાવાદમાં હાલ
આ વર્ષના સૌથી ઓછા ૧૬૩૩ એક્ટિવ કેસ છે.છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૩૪૭ દર્દી કોરોનાથી સાજા
થયા છે. અત્યારસુધી અમદાવાદ જિલ્લામાંથી કુલ ૩.૭૭ લાખ દર્દીઓ કોરોનાને હરાવી ચૂક્યા
છે. અમદાવાદ જિલ્લામાંથી કુલ ૩૬૧૭ના કોરોનાથી મૃત્યુ થયા છે.




