Get The App

વિરમગામમાં વરસાદી ગટરની કામગીરીમાં ઘોર બેદરકારીઃ 6 મહિનાથી કામ અધૂરું

Updated: Mar 26th, 2026

GS TEAM

Google News
Google News
વિરમગામમાં વરસાદી ગટરની કામગીરીમાં ઘોર બેદરકારીઃ 6 મહિનાથી કામ અધૂરું 1 - image

કરોડોના ખર્ચે શરૃ થયેલ જી.યુ.ડી.સી.નો પ્રોજેક્ટ અભરાઈએ

અષ્ટવિનાયક બંગ્લોઝના ગેટ પાસે માટીના ઢગલા અને ખુલ્લી ગટરને કારણે ૧૯૨ પરિવારો બંધક જેવી સ્થિતિમાં

તંત્રને રજૂઆત છતાં કાચબા ગતિએ ચાલતી કામગીરીથી લોકો પરેશાન

વિરમગામગુજરાત અર્બન ડેવલપમેન્ટ કોર્પોરેશન (જી.યુ.ડી.સી) દ્વારા વિરમગામ શહેરમાં વરસાદી ગટરને કન્સિલ્ડ કરવા માટે કરોડો રૃપિયાનો કોન્ટ્રાક્ટ ખાનગી એજન્સીને અપાયો છે, પરંતુ તંત્રની નિષ્ક્રિયતાને કારણે આ કામગીરી આશીર્વાદને બદલે શ્રાપ સમાન બની રહી છે.

વિરમગામ-બહુચરાજી હાઈવે પર આવેલી અષ્ટવિનાયક બંગ્લોઝ સોસાયટી પાસે છેલ્લા છ મહિનાથી ગટરનું કામ અધૂરું મૂકી દેવામાં આવ્યું છે. સોસાયટીના ગેટ નંબર એકની બિલકુલ બહાર મોટી ગટર ખોદીને માટીના વિશાળ ઢગલા કરી દેવાયા છે, જેના કારણે રહીશોનો અવરજવરનો માર્ગ અવરોધાયો છે.

સોસાયટીના અંદાજે ૧૯૨ પરિવારો આ સ્થિતિને કારણે હાલાકી ભોગવી રહ્યા છે. હાઈવે પર પસાર થતા વાહનચાલકો માટે પણ આ ખુલ્લી ગટર અકસ્માતનું કારણ બની શકે તેમ છે. સોસાયટી દ્વારા જુલાઈ ૨૦૨૫થી અત્યાર સુધીમાં જી.યુ.ડી.સી. અને સ્થાનિક તંત્રને અનેકવાર લેખિત તથા મૌખિક રજૂઆતો કરવામાં આવી છે, છતાં એજન્સી દ્વારા કામ પૂર્ણ કરવાની તસ્દી લેવામાં આવતી નથી. તંત્રની આ 'કાચબા ગતિ'ની કાર્યપદ્ધતિને લીધે રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જો સત્વરે માટીના ઢગલા હટાવી ગટર કન્સિલ્ડ કરવામાં નહીં આવે, તો આગામી સમયમાં આંદોલનાત્મક પગલાં ભરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.