જામનગરમાં ભોઈ સમાજ દ્વારા હોળીકાદહનના કાર્યક્રમની ભવ્ય તૈયારીઓ: સાંજે હોલિકા દહન યોજાશે

જામનગર તા. 17 માર્ચ 2022
જામનગરમાં ભોઇ સમાજ દ્વારા હોલિકા ઉત્સવ છેલ્લા ૬૫ વર્ષ થી ઉજવવામાં આવે છે. જે પરંપરા આજે 66માં વર્ષમાં પણ અવિરત ચાલુ રખાઇ છે, અને 25 ફૂટ જેટલી ઊંચાઈ ધરાવતું, અને પાંચ ટન વજન સાથેનું,હોલિકાનું પૂતળું બનાવાયું છે. જેમાં ઘાસ, કોથળા,કલર,લાકડું,કપડા, અને વિવિધ સામગ્રીઓ દ્વારા આ હોલિકાનું પૂતળું તૈયાર કરવામાં આવ્યું છે.
ભોઈ સમાજના તમામ યુવાનો વડીલોના માર્ગદર્શન હેઠળ એક મહિના જેટલા લાંબા સમય દરમિયાન રાત દિવસ મેહનત કરીને હોલિકાનું પૂતળું તૈયાર કરાયું હતું. જેમાં આ વર્ષે ભોઇ જ્ઞાતિ સમસ્ત જામનગરના પ્રમુખ અનિલભાઈ ગોંડલીયાના માર્ગદર્શન હેઠળ કાર્યવાહક સમિતિની નિમણુક કરવામાં આવી છે, જેના અધ્યક્ષ તરીકે રૂપેશભાઈ વારા, ઉપાધ્યક્ષ બીપીનભાઈ જે.વારા, કોષાધ્યક્ષ ચંદ્રેશભાઇ વારા,સભ્ય સંજયભાઈ સી. દાઉદીયા,સભ્ય મયુર ડી.વારા
ની દેખરેખ હેઠળ હોલિકા સર્જક તરીકે ભરતભાઈ ગોંડલીયા, તથા રવિ વારા તેમજ રમેશભાઈ વી.જેઠવા, આભૂષણ માટે અલ્પેશભાઈ વારા, સની કુંભારાણા, કપિલ જેઠવા, વૈભવ જેઠવા,પ્રતીક જેઠવા સહિતના યુવાનો સાથે મળી સમગ્ર આભૂષણ તૈયાર કરાયા છે.
જે હોલિકાનું પુતળું આજે આસપાસના વિસ્તારમાં ભ્રમણ કરીને શાકમાર્કેટ પાસે ના ભોઈના ઢાળિયા પાસે સ્થાપિત કરવામાં આવ્યું છે, અને હોલીકા દહનના કાર્યક્રમની સંપૂર્ણ તૈયારીઓ કરી લેવામાં આવી છે.
આ ઉપરાંત શાક માર્કેટ સહિતના સમગ્ર વિસ્તારને ધજા-પતાકાઓથી શણગારવામાં આવ્યો છે. યુવાનોમાં પણ હોલિકા મહોત્સવની ઉજવણી માટેનો ભારે થનગનાટ જોવા મળી રહ્યો છે, નગરના અગ્રણીઓની ઉપસ્થિતિમાં હોલિકા દહનનો કાર્યક્રમની સાથોસાથ કેટલાક સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામા આવ્યું છે, અને હોલિકાના ઉત્સવ ને ભવ્ય બનાવવા માટેના પ્રયાસો થઈ રહ્યા છે.




