Get The App

જામનગર આવેલા રાજકોટના સોની વેપારી સાથે 2.50 લાખની સોનાની બંગડીની છેતરપિડી : તેના જ મિત્ર સહિત 3 સામે ફરિયાદ

Updated: Mar 16th, 2026

GS TEAM

Google News
Google News
જામનગર આવેલા રાજકોટના સોની વેપારી સાથે 2.50 લાખની સોનાની બંગડીની છેતરપિડી : તેના જ મિત્ર સહિત 3 સામે ફરિયાદ 1 - image

Jamnagar Fraud Case : રાજકોટમાં સત્ય સાંઈ નગરમાં રહેતા એક સોની વેપારી જામનગર આવ્યા હતા, અને પોતાના મિત્રની મદદથી એક ગ્રાહકની રૂપિયા અઢી લાખની સોનાની બંગડી પહોંચાડવા માટે આપી હતી, જે ગ્રાહકને નહીં પહોંચાડી તેના જ મિત્ર સહિત ત્રણ શખ્સોએ વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી હોવાથી મામલો પોલીસ મથકે લઈ જવાયો છે, અને ત્રણેય સામે ફરિયાદ નોંધાવી છે.

રાજકોટમાં ગુંદાવાડી વિસ્તારના રહેતા હાર્દિકભાઈ અનિલભાઈ ચાવડા નામના સોની વેપારી કે જેમણે જામનગરના સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં આવીને પોતાના જ મિત્ર જામનગરના ગુલાબનગરમાં રહેતા કેયુર નીતિનભાઈ સંઘવી ઉપરાંત મહાલક્ષ્મી ચોકમાં દુકાન ધરાવતા રવી સોની અને જીગ્નેશ સોલંકી વગેરે ત્રણ શખ્સો સામે પોતાની રૂપિયા 2,55,000 ની કિંમતની સોનાની બે બંગડી પચાવી પાડી છેતરપિંડી કરવા અંગેની ફરિયાદ નોંધાવી છે.

પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી હાર્દિકભાઈ ચાવડા, કે જેઓએ રૂપિયા બે લાખ ૫૫ હજારની કિંમતની સોનાની બંગડી જામનગરમાં રહેતા પોતાના ગ્રાહક જયપાલસિંહ નરેન્દ્રસિંહ રાણા ને પહોંચાડવા માટે ગુલાબનગરમાં રહેતા પોતાના મિત્ર કેયુર નીતિનભાઈ સંઘવીને આપી હતી. પરંતુ તેણે તે બંગડી જયપાલસિંહને પહોંચાડી ન હતી, અને જામનગરના રવિ સોની પાસે રૂપિયા દોઢ લાખમાં ગીરવે મૂકી દીધી હતી. દરમિયાન સોની વેપારીએ તે બંગળી ઓગાળી નાખી હતી.

આ મામલે થોડા સમયથી હાર્દિકભાઈ અને કેયુર વચ્ચે ગજગ્રાહ ચાલતો હતો, અને પોલીસમાં અરજી પણ કરાઈ હતી. દરમિયાન જામનગરના જીગ્નેશ સોલંકી નામના શખ્સએ વચ્ચે પડીને સમાધાન કરાવ્યું હતું, અને વેપારી હાર્દિક ચાવડા તેમજ કેયુર સંઘવી અને રવિ સોનીને બોલાવ્યા બાદ હપ્તેથી પૈસા આપવાનું નક્કી કરાયું હતું. જે રકમ પણ કેયુર અને રવિ સોનીએ આપી ન હતી, અને સોની વેપારી સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી હતી જે સંદર્ભમાં નોટરી કરાવી, લખાણ પણ કરાવી આપ્યું હતું. તેમ છતાં ત્રણેય વ્યક્તિઓએ સોનાની બંગડી અથવા તો તે મુજબની રકમ ચૂકવી ન હોવાથી આખરે સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં ત્રણેય સામેં ફરિયાદ નોંધાવી છે.