Gujarat

અમદાવાદમાં પ્રેમ લગ્નનો લોહિયાળ અંજામ, ગલ્લે ઊભેલા આધેડનું 4 શખસોના જીવલેણ હુમલામાં મોત

By GS TEAM
3 May 20262 mins read
TukuTouch Logo
અમદાવાદના રાજીવ નગર ચાર રસ્તા પાસે ગઈકાલે રાત્રે હત્યાની ચોંકાવનારી ઘટના સામે આવી હતી. આ ઘટનામાં 52 વર્ષીય નટુભાઈ પરમાર નામની વ્યક્તિ પર ચાર શખસે હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધા હતા. સમગ્ર ઘટનાના દ્રશ્યો સીસીટીવી (CCTV)માં કેદ થઈ ગયા પછી પોલીસે તપાસ કરતા જાણવા મળ્યું છે કે, આ હુમલો પ્રેમ લગ્નની અદાવત ધ્યાનમાં રાખીને કરાયો હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદમાં પ્રેમ લગ્નનો લોહિયાળ અંજામ, ગલ્લે ઊભેલા આધેડનું 4 શખસોના જીવલેણ હુમલામાં મોત

Ahmedabad Crime News: અમદાવાદના રાજીવ નગર ચાર રસ્તા પાસે ગઈકાલે રાત્રે હત્યાની ચોંકાવનારી ઘટના સામે આવી હતી. આ ઘટનામાં 52 વર્ષીય નટુભાઈ પરમાર નામની વ્યક્તિ પર ચાર શખસે હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધા હતા. સમગ્ર ઘટનાના દ્રશ્યો સીસીટીવી (CCTV)માં કેદ થઈ ગયા પછી પોલીસે તપાસ કરતા જાણવા મળ્યું છે કે, આ હુમલો પ્રેમ લગ્નની અદાવત ધ્યાનમાં રાખીને કરાયો હતો. 

દર્શન કરી પરત ફરતા સમયે બની ઘટના

મળતી માહિતી મુજબ, મૃતક નટુભાઈ કલાભાઈ પરમાર ગઈકાલે રાત્રે 8 વાગ્યાની આસપાસ મેલડી માતાના મંદિરે દીવાબત્તી કરવા ગયા હતા. ત્યાંથી પરત ફરતી વખતે તે જ્યારે એક ગલ્લા પાસે ઊભા હતા, ત્યારે પાછળથી આવેલા ચાર હુમલાખોરોએ તેમના પર જીવલેણ હુમલો કર્યો હતો. હુમલા બાદ ગંભીર હાલતમાં નટુભાઈને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું. 

આ પણ વાંચો: ધારાસભ્યોને લહેર: હવે વંદે ભારત, દુરંતો અને તેજસમાં મફત મુસાફરી! હરો, ફરો અને મોજ કરો

આંતરજ્ઞાતિય લગ્ન અને જૂની અદાવતનું કારણ

મૃતકના બહેને હુમલા પાછળનું કારણ જણાવતા ગંભીર આક્ષેપો કર્યા છે. તેઓના જણાવ્યાનુસાર, પરિવારના એક યુવકે બીજી જ્ઞાતિની યુવતી સાથે લગ્ન કર્યા હતા. પ્રાથમિક માહિતી પ્રમાણે, આ બાબતની અદાવત રાખીને યુવતીના કાકા-મામાના છોકરાઓએ ભેગા મળીને નટુભાઈ પર હુમલો કર્યો હોઈ શકે છે. જો કે, હુમલાખોરોને તેઓ રૂબરૂ ઓળખતા નથી પરંતુ આ જૂની અદાવતને કારણે જ આ બનાવ બન્યો હોવાનું તેઓનું માનવું છે.

બે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ અને પંચનામાની કાર્યવાહી

ઘટનાને પગલે પોલીસે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. અત્યારે મૃતકના દેહને પંચનામા માટે સોલા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. આ મામલે સેટેલાઈટ અને આનંદનગર એમ બંને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. મૃતકના પુત્ર કૌશિક નટુભાઈ પરમારને આ કેસમાં ફરિયાદી તરીકે નોંધવામાં આવ્યા છે. પોલીસ હાલ સીસીટીવી ફૂટેજના આધારે હુમલાખોરોની ઓળખ કરી રહી છે અને તેઓને પકડી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. 

ઉલ્લેખનીય છે કે, હત્યા બાદ મૃતક પરિવારના સમર્થનમાં ટોળાએ રોડ ઉપર ઉતરી આવ્યું હતું. રાજીવ નગરથી જીવરાજ તરફ જવાનો રસ્તો સ્થાનિકોએ બંધ કરી દીધો હતો. જેને લઈને પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો.