Gujarat

આર્મીના નિવૃત જવાને વળતરની લાલચમાં આવીને ૩૦ લાખ ગુમાવ્યા

By GS TEAM
19 Apr 20261 min read
આર્મીના નિવૃત જવાને વળતરની લાલચમાં આવીને ૩૦ લાખ ગુમાવ્યા

અમદાવાદ,રવિવાર

ગાંધીનગર જિલ્લાના  મોટી સિંહોલીમાં રહેતા આર્મીના નિવૃત જવાનને રોકાણ પર વળતર આપવાની લાલચ આપીને બચતના ૩૦ લાખ જેટલી રકમ પડાવીને છેતરપિંડી કરવામાં આવી હોવાની ફરિયાદ ગાંધીનગર રેંજ સાયબર ક્રાઇમ સેલમાં નોંધવામાં આવી છે. ૩૦ લાખના રોકાણ પર ૪.૯૩ કરોડનો નફો દર્શાવીને તે નાણાં મેળવવા માટે બીજા ૨૫ લાખની માંગણી કરવામાં આવતા આર્મીના જવાનને છેતરાયાની જાણ થઇ હતી.

 ગાંધીનગર જિલ્લાના મોટી સિહોલીમાં આવેલા એલીગન્સ રેસીડેન્સી એપાર્ટમેન્ટમાં રહેતા પરૂપુ સિગાતાપુ આર્મીમાં નિવૃત થયા હતા.  થોડા દિવસો પહેલા તેમને અજાણ્યા વોટ્સએપ નંબરથી કોલ આવ્યો હતો. ફોન કરનારે  પોતાની ઓળખ સ્ટોક માર્કેટની એક કંપનીના એડવાઇઝર તરીકે ઓળખ આપીને તેમને રોકાણ પર નફો થાય તે પ્રકારની સલાહ આપવાની ખાતરી આપી હતી.

તે પછી  તેમને લીંક મોકલીને એપ્લીકેશન ડાઉનલોડ કરાવીને અલગ અલગ સમયગાળામાં આશરે ૩૦ લાખ રૂપિયાનું રોકાણ કરાવ્યું હતું. આ રોકાણમાં ૪.૯૩ કરોડનો નફો દર્શાવાયો હતો.  આ નફાની રકમ ઉપાડવા માટે આર્મી જવાને કહેતા કંપનીના નામે વાત કરનાર વ્યક્તિએ નફાના પાંચ ટકા લેખે ૨૫ લાખ ટેક્સ જમા કરવાનું કહેતા આર્મી જવાનને શંકા જતા તપાસ કરાવી હતી ત્યારે તેમને છેતરપિંડી થયાની જાણ થઇ હતી. આ અંગે પોલીસે ટેકનીકલ એનાલીસીસના આધારે તપાસ શરૂ કરી છે.