Gujarat

ખેડા જિલ્લા સહકારી બૅન્કની ચૂંટણીમાં ભાજપના ચાર બિનહરીફ

By GS Team
20 Jan 20222 mins read
This article was originally published on 20 Jan 2022
ખેડા જિલ્લા સહકારી બૅન્કની ચૂંટણીમાં ભાજપના ચાર બિનહરીફ

(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,ગુરૃવાર

ખેડા જિલ્લા સહકારી બૅન્કની ચૂંટણીમાં આજે ઉમેદવારી પત્રક ખેંચવાના છેલ્લા દિવસે વરસો પછી પહેલીવાર ભાજપના ચારે ઉમેદવાર એક સામટા બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. બિનહરીફ ચૂંટાયેલા ભાજપના ચાર ઉમેદવારોમાં યોગેન્દ્રસિંહ રામસિંહ પરમાર, તેજસ કુમાર બિપીનચંદ્ર પટેલ, રિતેશ દિલીપભાઈ પટેલ તથા યોગેન્દ્ર નટુભાઈ પટેલનો સમાવેશ થાય છે. ભૂતકાળમાં બહુધા કોન્ગ્રેસનું સમર્થન ધરાવતા ઉમેદવારો બિનહરીફ થતાં હતા. આ વખતે હવા બદલાઈ હોવાનો નિર્દેશ મળીર હ્યો છે. જોકે૩૦મી જાન્યુઆરીએ મતદાન થશે, પછી ચિત્ર સ્પષ્ટ થશે.  આ વખતે સભાસદોને મતદાન માટે ખેંચી લાવવા માટે પણ ખાસ પ્રયાસો કરવામાં આવશે. ભાજપે આ માટે આ વિસ્તારના પ્રધાનો, ધારાસભ્યો, નગરપાલિકા, ગ્રામ પંચાયત અને જિલ્લા પંચાયને સક્રિય થઈ જવાના આદેશો આપી દીધા છે. 

બૅન્કના બાકીના ૉ૭ ડિરેક્ટર માટે ૩૦મી જાન્યુઆરીએ ચૂંટણી થશે. ખેડા જિલ્લા સહકારી બૅન્કના ઇલેક્શનમાં સામાન્ય રીતે કોન્ગ્રસે-ભાજપ સમજૂતી કરીને ચૂંટણી ટાળી દેતા હતા. તેને પરિણામે પંદરથી વીસ વર્ષથી કોન્ગ્રેસના ઉમેદવારોનું બૅન્ક પર વર્ચસ રહ્યું છે. આ વખતે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટિલે ભાજપના ઉમેદવારોની યાદી પોતે ફાઈનલ કરીને સમગ્ર ચૂંટણી પ્રક્રિયા પર નજર રાખવા સહકાર સેલના પ્રમુખ બિપીન પટેલને જવાબદારી સોંપી હોવાથી કોન્ગ્રેસ-ભાજપની મિલીભગતથી ચૂંટણી ટાળવાની પ્રક્રિયા પર પડદો પડી ગયો હતા. તેથી ભાજપના ચાર ઉમેદવારો બિનહરીફ થયા છે. 

બીજીતરફ ધીરુભાઈ ચાવડા છેલ્લા ૨૩ વર્ષથી આ બેન્ક પર એક હથ્થુ શાસન કરતાં હોય તેમ ચૅરમેન બનતા આવ્યા છે. તેમની સામે આ વખતે ભાજપને અનિલ દિલીપ પટેલને મદાનમાં ઉતારીને એડીચોટીનું જોર લગાવ્યું છે. ધીરુભાઈ ચાવડાએ બિનહરીફ થવા હવાંતિયા માર્યા હતા, પણ સફળ થયા નહોતા. આ જ રીતે અત્યાર સુધી બિનહરીફ થતાં આવેલા અમિત ચાવડાએ પણ ભાજપના રિતેશ દિલીપ પટેલનો સામનો કરવો પડશે. જોકે ધીરુભાઈ ચાવડા અને અમિત ચાવડા વચ્ચે મતભેદ થયા હોવાથી ચૂંટણીમાં વિજેતા બને તો ચૅરમૅનના હોદ્દા માટે ધીરુભાઈ ચાવડા સામે મેદાનમાં ઉતરે તેવી પણ સંભાવના હોવાનો નિર્દેશ મળી રહ્યો છે. વરસો સુધી ઇશ્વરસિંહ ચાવડા આ બેન્કના ચરમૅન રહ્યા છે. ચાવડા પરિવારની અનુમતિ વિના કોઈ ફોર્મ પણ ભરી શકતા નહોતા.ત્યારબાદ ધીરુભાઈ ચાવડાનો સમય ચાલુ થયો છે. ખેડાના એક પરિવારનું વર્ચસ્વ તોડવામાં આ વખતે ભાજપ સફળ થાય છે કે કેમ તે પણ સમય જ બતાવશે. તેથી જ ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટિલની સૂચના બાદ આગામી વિધાનસભાની ચૂંટણીમાં પોતાને તક મળશે તેવી આશા સાથે પણ ભાજપના અગ્રણીઓ પોતાની પૂરી તાકાતને કામે લગાવી રહ્યા હોવાનું જામવા મળી રહ્યું છે.