Get The App

શહેરમાં રૂ. ૨૦૩ કરોડના વિકાસ પ્રકલ્પોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ

નાયબ મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં પાણી, ડ્રેનેજ, રોડ અને હેરિટેજ વિકાસના પ્રોજેક્ટોની જાહેરાત

Updated: Mar 6th, 2026

GS TEAM

Google News
Google News
શહેરમાં રૂ. ૨૦૩ કરોડના વિકાસ પ્રકલ્પોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ 1 - image

મ્યુનિ. કોર્પોરેશન દ્વારા રૂ. ૨૦૩ કરોડના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોના ખાતમુહૂર્ત અને લોકાર્પણનો કાર્યક્રમ નાયબ મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને સર સયાજીરાવ નગરગૃહ, અકોટા ખાતે યોજાયો હતો.

મ્યુનિ. કમિશનર અરુણ મહેશ બાબુ એ જણાવ્યું હતું કે, વહીવટી પારદર્શિતા અને કાર્યક્ષમતા વધારવા માટે ૧૪ નવી પોલિસી અમલમાં મુકવામાં આવી છે તથા ક્વોલિટી કંટ્રોલ સેલની રચના કરવામાં આવી છે. ઉપરાંત જીઆઈએસ પ્લાનિંગ દ્વારા વિકાસ કામોને વધુ સુવ્યવસ્થિત બનાવવાની દિશામાં પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. શહેરના ઓજી વિસ્તારોના વિકાસ માટે રૂ. ૧ હજાર કરોડના પ્રોજેક્ટ તૈયાર કરાયા છે. પાણી ડ્રેનેજની સુવિધાઓ, ૧૮ નવા રસ્તાઓ, ૧૪ યોગા સેન્ટર, નવા સ્વિમિંગ પૂલ અને નવી વોર્ડ ઓફિસો તેમજ વાહનો જેવી પાયાની જરૂરિયાતોને આવરી લીધી છે.

મેયર પિન્કી સોનીએ જણાવ્યું હતું કે, સ્થાયી સમિતિ અધ્યક્ષ ડો.શિતલ મિસ્ત્રીએ પોતાના કાર્યકાળ દરમિયાન એક પણ રજા લીધા વિના વિકાસકાર્યો આગળ ધપાવ્યા તેમજ સ્ટેન્ડિંગ કમિટી સભ્યો અને સભાસદોના સહયોગથી વિકાસને ગતિ આપી શક્યા છે.શહેરમાં આરોગ્ય, શિક્ષણ, ટ્રાન્સપોર્ટ, રોડ, પાણી, સ્ટ્રીટ લાઈટ તેમજ જળસંગ્રહ ક્ષમતા વધારવા માટે આજવા સરોવર, પ્રતાપપુરા સરોવર અને દેણા તળાવના ડ્રેજિંગ સહિતના કામો હાથ ધરાયા છે.

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, વધતી વસ્તી અને વિસ્તારોને ધ્યાનમાં રાખીને વડોદરામાં રૂ. ૮૦૦ કરોડના ખર્ચે ઘરે-ઘરે શુદ્ધ પાણી, રૂ. ૭૦૦ કરોડના ખર્ચે ડ્રેનેજ અને રૂ. ૪૦૦ કરોડના ખર્ચે રોડ વિકાસના કામો હાથ ધરાયાં છે. સુરસાગર તળાવ ખાતે ભગવાન શિવજીની દૈનિક આરતી અને લાઈટ-સાઉન્ડ શો માટે ઇન્ટરનેશનલ ફાઉન્ટેન લાઈટ અને મેપિંગ શો તેમજ સુરસાગરથી ન્યાયમંદિર સુધી હેરિટેજ સ્ક્વેર વિકસાવવાની જાહેરાત કરી હતી.