Gujarat

વડોદરા: ફોર્ટિફાઇડ ચોખા એ પ્લાસ્ટિકના ચોખા નથી

By GS Team
6 Dec 20212 mins read
This article was originally published on 6 Dec 2021
વડોદરા: ફોર્ટિફાઇડ ચોખા એ પ્લાસ્ટિકના ચોખા નથી

વડોદરા, તા. 6 ડિસેમ્બર 2021 સોમવાર

ફોર્ટિફાઇડ ચોખા એ પ્લાસ્ટિકના ચોખા નથી, કુપોષણ દૂર કરવા ચોખામાં માઇક્રોન્યુટ્રિઅન્સ ઉમેરવાથી તેના રંગમાં નજીવો ફેરફાર થાય છે અને તે આરોગ્યપ્રદ છે. તેથી નાગરિકોએ કોઈ અફવાથી ગેરમાર્ગે દોરાવું નહિ.

કલેક્ટરે જણાવ્યું હતું કે આપણા દેશના અમુક રાજ્યના બાળકોમાં કુપોષણ જોવા મળે છે. જેમાં ગુજરાત રાજ્યનો પણ સમાવેશ થાય છે. બાળકોમાં કુપોષણ નિવારવા માટેના પગલા તરીકે ખોરાક તેમજ દવાઓ દ્વારા પોષણયુક્ત આહાર પુરો પાડીને તથા પોષણ માટેના જરૂરી વિટામીન્સની ટીકડીઓ પુરી પાડવામાં આવે છે.

ભારત સરકાર દ્વારા એપ્રિલ-2021થી સમગ્ર દેશમાં ફોર્ટિફાઇડ ચોખાનો જથ્થો મધ્યાહન ભોજન યોજના માટે વિતરણ કરીને બાળકોને કુપોષણમાંથી મુક્ત કરવાની યોજના દાખલ કરેલ છે.

ફોર્ટિફાઇડ રાઇસ એ ચોખાના જ લોટમાંથી તૈયાર કરવામાં આવે છે તેમાં માઇક્રોન્યુટ્રિઅન્સ જેવા કે, ફોલિક એસિડ(વિટામીન B-9), વિટામીન B-12 તથા આર્યનની માત્રા ઉમેરીને તેને પ્રોસેસ કરીને ચોખાના દાણા જેવા જ દાણાઓ તૈયાર કરવામાં આવે છે તેને F.R.K.(Fortified Rice Kernel) કહેવામાં આવે છે.

આ પ્રકારના દાણાઓમાં માઇક્રોન્યુટ્રિઅન્સ ઉમેરવાથી ફોર્ટિફાઈડ રાઇસ મુળ ચોખા દાણા કરતાં સહેજ જુદા રંગના/થોડા પીળાશ પડતા અને મુળ ચોખાથી આકારમાં થોડા જુદા જણાતા હોય છે.

આ પ્રકારના ફોર્ટિફાઇડ રાઇસ મધ્યાહન ભોજન યોજના હેઠળ બાળકોને રાંધીને ખવડાવવાના હોય છે પરંતુ હાલમાં શાળાઓ બંધ હોઇ આ ચોખા બાળકોના વાલીઓ ઘરે લઇ જઇને રાંધીને વપરાશ કરે છે. જેથી રસોઇ કરતાં પહેલાં ઉપર જણાવ્યા મુજબ દેખાવમાં અલગ રંગ/આકારના જણાતા હોઇ સામાન્ય પ્રજામાં તે પ્લાસ્ટિકના દાણા હોવાની ગેરસમજ પ્રવર્તે છે.

ફોર્ટિફાઈડ રાઇસ રાંધવામાં, મુળભુત ચોખાની જેમ જ રંધાઇ જાય છે, તેને બાળવાથી પ્લાસ્ટિક જેવી વાસ આવતી નથી. પાણીમાં નાખવાથી પોચા થઇને ઓગળી જાય છે.

ફોર્ટિફાઇડ રાઇસ હાલમાં ફક્ત અને ફક્ત મધ્યાહન ભોજન યોજના હેઠળ જ વિતરણ કરવાના થાય છે પરંતુ, એફ. સી. આઇ. દ્વારા પુરા પાડવામાં આવતા સાદા ચોખાની સાથે જ ફોર્ટિફાઇડ ચોખાનો નાગરિક પુરવઠા નિગમના ગોડાઉનમાં સંગ્રહ થતો હોવાથી ક્યારેક રાશન કાર્ડ હોલ્ડરોને વિતરણ કરવામાં આવતાં નથી.