Get The App

ઘરના ઘંટી ચાટે તેવો સુરત શિક્ષણ સમિતિના વિદ્યાર્થીઓનો ઘાટ : પહેલા SIR અને હવે બોર્ડની પરીક્ષાના કારણે શાળાના વર્ગખંડમાં શિક્ષકોની અછત

Updated: Feb 27th, 2026

GS TEAM

Google News
Google News
ઘરના ઘંટી ચાટે તેવો સુરત શિક્ષણ સમિતિના વિદ્યાર્થીઓનો ઘાટ : પહેલા SIR અને હવે બોર્ડની પરીક્ષાના કારણે શાળાના વર્ગખંડમાં શિક્ષકોની અછત 1 - image

Surat Corporation : સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં શિક્ષકોની ઘટની ફરિયાદનો હલ આવતો નથી ત્યાં શિક્ષકોને માથે અન્ય પ્રવૃત્તિ નાખી દેવાતા સમિતિના વિદ્યાર્થીઓની હાલત કફોડી થઈ રહી છે. આ પહેલા SIR અને હવે બોર્ડની પરીક્ષામાં સમિતિના 600 થી વધુ શિક્ષકો જોડાયા છે તો કેટલાક શિક્ષકો તાલિમમાં છે. આવી સ્થિતિમા શિક્ષણ સમિતિના ગરીબ વિદ્યાર્થીઓનું ભાવિ દાવ પર લાગી રહ્યું છે. 

સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં શિક્ષકોની ઘટનો મુદ્દો વિવાદનો મુદ્દો છે. શિક્ષકોની ઘટ હોવાના કારણે બાળકોના શિક્ષણ પર માઠી અસર પડી રહી હોવાની વ્યાપક ફરિયાદ છે. એકતરફ વર્ગ ખંડમાં શિક્ષકોની ઘટ છે તો બીજી તરફ પાલિકા, શિક્ષણ સમિતિ કે સરકાર દ્વારા શિક્ષકોને ફરજ્યાત ઈતર પ્રવૃત્તિના ફરજ્યાત જોડતા હોવાથી શિક્ષણ પર માઠી અસર પડી રહી છે. થોડા સમય પહેલાં મોટા ભાગના શિક્ષકો SIR ની કામગીરીમાં જોડાયા હતા. હવે 600 થી વધુ શિક્ષકો બોર્ડની પરીક્ષામાં જોડાયા છે આ ઓછું હોય તેમ કેટલાક વિદ્યાર્થીઓ વિવિધ ટ્રેનીંગમાં જોડાઈ રહ્યાં છે તેની સીધી અસર વિદ્યાર્થીઓના શિક્ષણ પર પડી રહી છે. 

આવી હાલતમાં પાલિકાની અનેક શાળાઓમાં હાલ એક જ શિક્ષકને બેથી ત્રણ વર્ગો સંભાળવાની ફરજ પડી રહી છે. ક્યાંક તો શિક્ષક એક વર્ગને કામ આપીને બીજા વર્ગમાં દોડી જાય છે. બેથી ત્રણ વર્ગની હાજરી પુરવામાં જ અડધો સમય જ નિકળી જાય છે. આવી પરિસ્થિતિમાં ગુણવત્તાપૂર્ણ શિક્ષણની વાત કરવી માત્ર કાગળ પરની જાહેરાત બની રહી છે.

 વાલીઓમાં પણ ભારે રોષ છે. તેઓનો સવાલ છે કે જ્યારે પરિણામ ખરાબ આવે ત્યારે જવાબદારી કોની ગણાશે? શું શિક્ષકો પર દબાણ કરીને અને વર્ગખંડ ખાલી રાખીને “સારા પરિણામ”ની અપેક્ષા રાખી શકાય? તંત્રની બેદરકારીનો ભોગ ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારોના બાળકો બની રહ્યા છે. હાલની પરિસ્થિતિએ કહી રહી છે કે ઘરના ઘંટી ચાટે તેવો હાલ સમિતિના વિદ્યાર્થીઓનો થયો છે.