Get The App

વનઆરક્ષિત વિસ્તારમા આગની શરૂઆત : હરિયાળી પર જોખમ

Updated: Feb 26th, 2026

GS TEAM

Google News
Google News
વનઆરક્ષિત વિસ્તારમા આગની શરૂઆત : હરિયાળી પર જોખમ 1 - image

પાનખરને કારણે સૂકા પાંદડાઓથી ઢંકાયેલા

સેક્ટર-6મા લાગેલી આગ વકરે તે પહેલા વનકર્મીઓએ કાબુ મેળવી લીધો : વનવિભાગ દ્વારા પેટ્રોલિંગ વધારાયુ

ગાંધીનગર: ગુજરાતનું સૌથી ગ્રીનેસ્ટ સિટી ગણાતું ગાંધીનગર અત્યારે પાનખરની તુના આગમન સાથે બદલાતા મિજાજમાં જોવા મળી રહ્યું છે. શહેરના માર્ગો અને વન આરક્ષિત વિસ્તારોમાં ચારેતરફ સૂકા પાંદડાની ચાદર પથરાયેલી છે. જોકે, આ કુદરતી સૌંદર્ય વચ્ચે કેટલાક ટીખળખોર તત્વો દ્વારા સૂકા પાંદડામાં આગ ચાંપવાની ઘટનાઓ સામે આવી રહી છે, જે નગરની હરિયાળી અને પર્યાવરણની સાથે શહેરની ગરિમા માટે ચિંતાનો વિષય બન્યો છે.

પાનખરની તુમાં કુદરતી રીતે જ પાંદડા ખરતા હોય છે, પરંતુ આ પાંદડાના કચરાનો યોગ્ય નિકાલ કરવાના બદલે કેટલાક અસામાજિક તત્વો દ્વારા તેમાં આગ લગાડવામાં આવે છે. આ આગ માત્ર સૂકા પાંદડા પૂરતી સીમિત રહેતી નથી, પરંતુ જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરીને આસપાસની લીલોતરી અને વૃક્ષોની ડાળીઓને પણ પોતાની ઝપેટમાં લઈ લે છે.

ગાંધીનગરની ઓળખ સમાન હરિયાળીને આનાથી વ્યાપક નુકસાન પહોંચી રહ્યું છે. આ ઉપરાંત, કચરો અને પાંદડા સળગવાને કારણે ઉઠતા ધુમાડાના ગોટેગોટા વાયુ પ્રદૂષણમાં ધરખમ વધારો કરે છે, જેનાથી રસ્તા પરથી પસાર થતા વાહનચાલકો અને સ્થાનિક રહીશોના સ્વાસ્થ્ય પર માઠી અસર પડે છે. તાજેતરમાં જ આવી એક ઘટના રોડ નંબર ૩ પર સેક્ટર-૬ ના ખૂણા પાસે આવેલા વન વિસ્તારમાં બની હતી. કોઈ અજ્ઞાાત શખ્સ દ્વારા અહીંના આરક્ષિત વિસ્તારમાં આગ લગાડવામાં આવી હતી. સદનસીબે, એક જાગૃત નાગરિકની નજર આ આગ પર પડતા તેમણે તાત્કાલિક વન વિભાગને જાણ કરી હતી. જેના પગલે વન વિભાગના ફોરેસ્ટર અને તેમની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને આગ વધુ પ્રસરે તે પહેલાં જ તેને કાબૂમાં લઈ લીધી હતી. આ ત્વરિત કામગીરીને કારણે વનરાજીને થતું મોટું નુકસાન અટકાવી શકાયું હતું. વન વિભાગે આ ઘટનાને ગંભીરતાથી લઈને હવે આગામી દિવસોમાં સતત પેટ્રોલિંગ વધારવાનો નિર્ણય કર્યો છે. વન વિભાગે નાગરિકોને પણ અપીલ કરી છે કે આ પ્રકારે જાહેરમાં આગ લગાડવી એ ગુનો છે અને જો કોઈ આવી પ્રવૃત્તિ કરતા જણાય તો તુરંત તંત્રને જાણ કરવી.