- ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા કાર રેલિંગ સાથે અથડાઈ
- મૃતક કાર ચાલક આણંદ પાસેના વિદ્યાનગરના ૪૬ વર્ષીય અધ્યાપક મનીષકુમાર પટેલ હોવાનું અનુમાન
આણંદ : સુરત જિલ્લાના માંગરોળ નજીકથી પસાર થતા એક્સપ્રેસ હાઈવે ઉપર શુક્રવારની રાત્રિના સર્જાયેલા અકસ્માતમાં હૃદય દ્રાવક દ્રશ્યો સર્જાયા હતા. નરોલી ગામની સીમમાં પુરપાટ ઝડપે પસાર થઈ રહેલી એક કાર રેલિંગ સાથે અથડાયા બાદ કારમાં ભીષણ આગે લાગી હતી. આ અકસ્માતમાં આણંદ પાસેના વિદ્યાનગરના અધ્યાપકનું ગંભીર ઇજાઓ થવાના કારણે મોત થયું હોવાની આશંકા સેવાઈ રહી છે.
સુરત જિલ્લાના માંગરોળ તાલુકામાંથી પસાર થતા એક્સપ્રેસ હાઈવે ઉપર શુક્રવારની રાત્રિના સુમારે એક હોન્ડા સિટી કાર કીમથી નવસારી તરફ જઈ રહી હતી. દરમિયાન છમુ છલ ગામની સીમમાં અચાનક કાર ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા કાર ધડાકા ભેર હાઇવેની રેલિંગ સાથે અથડાઈ હતી. અકસ્માત બાદ કારમાં કોઈ કારણોસર આગ ફાટી નીકળી હતી અને થોડી જ ક્ષણોમાં આખી કાર આગની જ્વાળાઓમાં લપેટાઈ ગઈ હતી. બીજી તરફ કારચાલકને ગંભીર ઇજાઓ થવાના કારણે તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું. આ ઘટનાની જાણ કોસંબા પોલીસને થતા પોલીસની ટીમ તથા ૧૦૮ની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને તપાસ કરતા ગંભીર ઇજાઓ થવાના કારણે કાર ચાલકનું ઘટનાસ્થળે જ મોત થયું હોવાનું જાણવા મળ્યું હતું. મૃત્યુ પામનાર કારચાલક આણંદ પાસેના વિદ્યાનગરના ૪૬ વર્ષીય અધ્યાપક મનીષકુમાર પટેલ હોવાનું અનુમાન છે.


