Gujarat

વડાલી તાલુકામાં પાણીના તળ ઉંડે જતાં ખેડૂતો ભારે ચિંતાતૂર

By GS Team
25 Feb 20222 mins read
This article was originally published on 25 Feb 2022
વડાલી તાલુકામાં પાણીના તળ ઉંડે જતાં ખેડૂતો ભારે ચિંતાતૂર

વડાલી તા.24

વડાલી તાલુકામાં ચોમાસામાં નહીંવત વરસાદ પડતાં જમીનમાં પાણીના સ્તર ઊંડા જતા બોર અને કુવાઓમાં પાણી ખુટવા લાગતા રવીપાકોમાં છેલ્લી પાણીની તંગી સર્જાતા પાકો મુરઝાવા લાગ્યા છે.જેથી પાકોને બચાવવા ખેડુતો નાણાં ખર્ચી કુવામાં તેમજ જમીન પર બોરવેલથી બોર મોટાપાયે કરવા લાગી ગયા છે.જેમાં પાણી થતાં કેટલાક ખેડુતોમાં ખુશી જ્યારે ન થતા નાણાં વેડફાવા સાથે પાકની સોથ વળવાથી મોમાં આવેલો કોળીયો છીનવાઈ જતા ગમનો માહોલ જોવા મળી રહ્યો છે.

વડાલી તાલુકાના ખેડુતોએ રવી પાકમાં બટાકા, ઘઉં, ચણા, રાયડો, તમાકુ, વરીયાળીના બજારમાંથી મુલ્યવાન બિયારણ ખરીદી લાવી મોટા પાયે વાવેતર કર્યું છે.જેમાં દવાઓનો છટકાવ તેમજ રાસાયણિક ખાતર નાખી મહા મહેનત કરી પાકોને પરિપક્વ બનાવ્યા છે.જે પાકોમાં છેલ્લી એકાદ બે પાણીનું પાણી આપવાનું બાકી છે. તેવામાંજ બોર અને કુવાઓમાં પાણી ખુટવા લાગ્યા છે.તાલુકામાં ગત ચોમાસામાં મેઘરાજાએ નહીંવત વરસાદ વરસાવતા નદી,નાળાઓ તેમજ તળાવો વરસાદી પાણી વગર ખાલી રહેતા જમીનમાં પાણીના સ્તર પૂરતા પ્રમાણમાં ઉચા આવ્યા ન હતા.

જેથી ઘડીના સમયે બોર અને કુવાઓમાં પાણી ખુટવા લાગતા તૈયાર રવીપાકો મુરઝાવા લાગ્યા છે.જેથી ખેડુતો પાકોને બચાવવા ઉછીના તેમજ વ્યાજે નાણાં લઈ કુવાઓ તેમજ જમીનપર બોર કરવા લાગ્યા છે જે બોર ૫૦૦ થી ૧૦૦૦ ફુટ ઊંડા કરવા છતાં સફળતા ન મળતા નાણાં વેડફાવા સાથે પાકોની સોથ વળતા મોમાં આવેલો કોળીયો છીનવાઈ જતા ખેડુતોએ મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. જ્યારે કેટલાકને સફળતા મળતા પાકોને જીવતદાન મળતા ખુશીની લહેર ફેલાઈ છે.જેથી ખેડુતો તાલુકામાં સિંચાઇની વ્યવસ્થા કરવા સરકાર દ્વારા યોગ્ય પગલાં લેવા માંગ કરવા લાગ્યા છે.