Gujarat

બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં પાણી નહીં મળતાં ખેડૂતોમાં રોષ

By GS Team
7 Feb 20222 mins read
This article was originally published on 7 Feb 2022
બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં પાણી નહીં મળતાં ખેડૂતોમાં રોષ

પાલનપુર તા.7

શિયાળો હજુ પુરો થયો નથી ત્યાતો બનાસકાંઠા જિલ્લાના અંતરયાર વાવ, સુઇગામ વિસ્તારમાં પાણીનો પોકાર પડયો છે. સરહદી વિસ્તારમાં આવેલી નર્મદાની કેનાલો ઉનાળુ શરૃ થવાની પહેલાજ સુકી ભઠ્ઠ ભાસી રહી છે. જેના કારણે ગ્રામ્ય વિસ્તારના લોકોને સિંચાઇના પાણી માટે રઝળપાટ કરવાનો વારો આવ્યો છે.

બનાસકાંઠા જિલ્લા વાવ,થરાદ સુઈગામ ભાભર સહિતનાં વિસ્તારમાં રાજ્ય સરકાર અને નર્મદા નિગમ દ્વારા કરોડો રૃપિયાનાં ખર્ચે ખેડૂતોને ખેતરે ખેતરે સિંચાઈનું પાણી મળે એવી યોજના અમલમાં મુકવામાં આવી હતી. ત્યારે ખેડૂતોએ પણ પોતાની જમીન આપી આ યોજનામાં વિક્ષેપ વિના જ સહભાગી થયા હતા.પરંતુ વાવ અને સુઈગામ વિસ્તારની અનેક માઈનોર કેનાલો ભરશિયાળે સિંચાઈનું પાણી નહિ મળતાં શોભાના ગાંઠિયા સમાન બની છે.ખાસ કરીને મોંઘાદાટ બિયારણ, જંતુનાશક દવાઓ, ડીઝલ પંપનાં ખર્ચાઓ તથા ખેતરમાં ટ્રેક્ટરનો પણ ૩ એકર જમીનમાં પચાસ હજારનો ખર્ચ થાય છે .ત્યારે સિંચાઈનું પાણી નહિ મળવાને કારણે ખેડૂત દેવાદાર બની રહ્યાં હોય એવું ખેડૂતોએ જણાવ્યું હતું. તો વાવ,સુઈગામ વિસ્તારમાં આવેલ માઈનોર કેનાલોમાં સફાઈ કરવી,જુના સાયફન હોય ત્યાં કચરો ભરાઈ જવો,કે ગેટમેનો દ્વારા માઈનોર કેનાલોમાં પાણી ઓછું છોડવું જેવી અનેક સમસ્યાઓને કારણે ખેડૂતોનાં ખેતર સુધી માઈનોર કેનાલો થકી પાણી પહોંચતું નથી.અને કેનાલો સૂકી ભઠ્ઠ પડી છે.ત્યારે ક્યાંય ને ક્યાંક તંત્રની અણઆવડતનો ભોગ ખેડૂતો બની રહ્યાં હોય એવું દેખાઈ રહ્યું છે .વાવ સુઈગામ વિસ્તારની માઈનોર કેનાલો જેવી કે નાળોદર માઈનોર-૧,નાળોદર માઈનોર-૨,સપ્રેડા માઈનોર,તો વળી ચોથાનેસડા, લોદ્રાણી,રાછેણા,રાધાનેસડા જેવાં અનેક ગામડાઓમાં માઈનોર કેનાલોમાં સિંચાઈનું પાણી નહિ મળતા ખેડૂતોમાં રોષ ભભૂકી ઉઠયો છે.

અંતરિયાળ ગામોમાં પાણી પહોંચતું જ નથી - ખેડૂતો

આ અંગે લોદ્રાણી ગામનાં ખેડૂત કલાભાઈ પટેલે જણાવ્યું હતું કે કેનાલ આવ્યાંને દસ વર્ષ જેટલો સમય થયો છે.છતાં પણ આજદિન સુધી નાળોદર,લોદ્રાણી વિસ્તારમાં સિંચાઈ માટે પાણી મળતું નથી તો વળી કેનાલ આવવાથી ખેતરની જમીન તૂટી એનું પણ વળતર મળ્યું નથી પાણી નહિ મળવાને કારણે ક્યારેય પણ પૂરતી સિઝન અમોએ લીધી નથી સરકાર પાસે ખેડૂતોની માંગણી છે કે ખેડૂતોને પૂરતું સિંચાઈનું પાણી મળે અને ખેડૂતોને વળતર આપે.

સરહદી વિસ્તારમાં જીરા, એરંડા, રાયડો, ઘઉંનું મોટા પ્રમાણમાં વાવેતર

બનાસકાંઠા જિલ્લાનાં સરહદી,વાવ, થરાદ, ભાભર, સુઈગામ પંથકમાં રવી સિઝનમાં જીરું, એરંડા,રાયડો,ઘઉં ઈસબગુલ સહિતનું ખુબ જ મોટા પ્રમાણમાં વાવેતર થાય છે.સમયસર પાકને પાણી નહીં મળે તો પાક બળી જવાની ખેડૂતોમાં ભિતિ સેવાઇ રહી છે.

માઈનોર અને ડિસ્ટ્રી. કેનાલોમાં રાત્રે જ પાણી આવે છે - ખેડુતો

વાવ અને સુઈગામ વિસ્તારમાં આવેલ અનેક માઈનોર અને ડિસ્ટ્રીબ્યુટરી કેનાલોમાં રાત્રી દરમિયાન સિંચાઈ માટે પાણી મળે છે દિવસે પાણી મળતું નથી.જેથી પુરતાં પ્રમાણમાં પિયત કરવામાં પણ મુશ્કેલીઓ સર્જાય છે. અને બધાં ખેડૂતોને પાણી મળતું નથી.