પારદર્શક વહીવટની વાત માત્ર કરવા પુરતી અમદાવાદ મ્યુનિ.ના ઉચ્ચ અધિકારીઓને પ્રોપર્ટી રીટર્ન ભરવા કમિશનરનો આદેશ

અમદાવાદ,રવિવાર,20
માર્ચ,2022
અમદાવાદ મ્યુનિ.વહીવટી તંત્રમાં પારદર્શક વહીવટ થતો હોવાની
વાત કરવા પુરતી જ હોય છે.તંત્રમાં વર્ગ-૧નાં ૨૮૬ અને વર્ગ-૨નાં ૯૦૦ મળીને કુલ ૧૧૮૬
અધિકારીઓ ફરજ બજાવે છે.આમ છતાં ઘણાં અધિકારીઓએ બે વખત પરિપત્ર કરવા છતાં તેમની
સ્થાવર અને જંગમ મિલકની વિગત દર્શાવતા પ્રોપર્ટી રીટર્નની માહિતી ના આપતા હોવાથી
જે અધિકારીઓએ તેમની પ્રોપર્ટીની વિગત જાહેર કરી નથી તેવા અધિકારીઓ સમય મર્યાદામાં
વિગત નહીં આપે તો શિક્ષાત્મક કાર્યવાહી માટે તૈયાર રહેવા આદેશ કર્યો છે.
મ્યુનિ.માં ફરજ બજાવતા વર્ગ-૧ અને વર્ગ-૨માં ફરજ બજાવતા તથા
નવી નિમણૂંક પામેલા અધિકારીઓને ૩૧ ડીસેમ્બર-૨૦૨૧ની સ્થિતિએ તેમની સ્થાવર અને જંગમ
મિલકતની વિગત ઓનલાઈન ભરીને મોકલી આપવા કમિશનરના તાબા હેઠળની સેન્ટ્રલ ઓફિસ તરફથી
પરિપત્ર કરી જાણ કરવામાં આવી હતી.૨૮ ફેબુ્રઆરી-૨૦૨૨ સુધીમાં તમામ અધિકારીઓને
પ્રોપર્ટી રીટર્નની વિગત મોકલી આપવાની સુચના આપવામાં આવી હોવાછતાં ઘણાં અધિકારીઓએ
હજુ સુધી તેમની વિગત ભરીને આપી નથી.ગત વર્ષે કોરોના મહામારીના સમયના કારણે
પ્રોપર્ટી રીટર્ન ભરવા માટે અધિકારીઓને સમય મર્યાદા વધારી આપવામાં આવી હતી.પરંતુ
હાલમાં કોરોનાના કેસ પણ ઘટી ગયા છે.આ સ્થિતિમાં પણ કેટલાક અધિકારીઓ દ્વારા માહિતી
આપવામાં આવી નથી.આ બાબતની કમિશનર લોચન સેહરાએ ગંભીરતાથી નોંધ લઈ જે પણ અધિકારીઓએ
હજુ સુધી તેમના પ્રોપર્ટી રીટર્ન ભર્યા નથી તેવા તમામને ૩૦ એપ્રિલ સુધીમાં વિગતો
ભરવા આદેશ કર્યો છે.જે અધિકારીઓ વારંવાર પરિપત્ર કરવા છતાં પણ તેમની સ્થાવર અને
જંગમ મિલકતની માહિતી મ્યુનિ.ને આપતા નથી તેમને શો-કોઝ નોટિસ આપી ખુલાસો પણ
માંગવામાં આવતો હોવાનું જાણવા મળે છે.મ્યુનિ.ના વિવિધ વિભાગોમાં વર્ગ-૧ અને
વર્ગ-૨માં ફરજ બજાવતા અધિકારીઓ પૈકી કેટલાક રાજય સરકારમાંથી પ્રતિનિયુકિત ઉપર
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરજ બજાવી રહ્યા છે.




