Gujarat

વડોદરા-નર્મદા જિલ્લાને જોડતા નર્મદા નદી પર રંગસેતુ બ્રિજની બંને બાજુ લોખંડની એંગલો હટાવાઇ

By GS TEAM
24 Feb 20261 min read
વડોદરા-નર્મદા જિલ્લાને જોડતા  નર્મદા નદી પર રંગસેતુ બ્રિજની બંને બાજુ લોખંડની એંગલો હટાવાઇ

વડોદરા, તા.24 વડોદરા અને નર્મદા જિલ્લાને જોડતા નર્મદા નદી પરના રંગ સેતુ બ્રિજ પરથી ભારે વાહનો પસાર ના થાય તે માટે લગાવેલી લોખંડની એંગલો આજે હટાવી લેતા વાહનચાલકોમાં કુતૂહલ સર્જાયુ હતું.

ઉલ્લેખનીય છે કે પાદરા તાલુકામાં મુજપુર પાસે ગંભીરા બ્રિજનો એક ભાગ તૂટી પડયા બાદ શિનોર તાલુકામાં આવેલી નર્મદા નદી પરના આશરે ૩૫ વર્ષ જૂના બ્રિજ પરથી પણ ભારે વાહનોની અવરજવર બંધ કરી લોખંડની એંગલો મારી દેવાઇ હતી. છેલ્લા આઠ મહિનાથી આ બ્રિજ પરથી ટ્રક, બસ સહિતના ભારે વાહનોની અવરજવર બંધ હતી માત્ર ટુ વ્હિલરો તેમજ ફોર વ્હિલરો બ્રિજ પરથી પસાર થતા  હતાં.

દરમિયાન આજે ભારે વાહનોની અવરજવર માટે લગાવેલી એંગલો હટાવી દેવામાં આવી હતી. આ અંગે સૂત્રોએ જણાવ્યું હતું કે રોડને ફોર લેન કરવાનો હોવાથી આ કામ માટે હેવી વાહનોની અવરજવર કરવા આ બ્રિજ કામચલાઉ ખોલવામાં આવ્યો છે. જે વાહનો પસાર થવાના છે તે વાહનોના નંબરો સાથે કલેક્ટર પાસે મંજૂરી મેળવવામાં આવી છે. લગભગ એક સપ્તાહ સુધી કામ ચાલ્યા બાદ ફરી એંગલો લગાવીને ભારે વાહનોની અવરજવર માટે રોડ બંધ કરી દેવાશે.