સાતમા પગાર પંચના લાભો ન મળતા કર્મચારીઓ આંદોલનના માર્ગે: છઠ્ઠી એ ભરૂચ ખાતે ધરણાં

વડોદરા, તા. 04
રાજ્ય સરકાર દ્વારા કર્મચારીઓને સાતમા પગાર પંચનો લાભ આપવામાં આવ્યો છે. પરંતુ હજુ પણ તેના સંપૂર્ણ લાભો ન મળતા ગુજરાત રાજ્ય કર્મચારી સંકલન સમિતિ દ્વારા આંદોલનનું રણશીંગુ ફૂંકવામાં આવ્યું છે. જેના ભાગરૂપે છઠ્ઠી જાન્યુઆરીના રોજ ભરૂચ ખાતે તમામ જીલ્લાનાં કર્મચારી સંઘના હોદ્દેદારો દ્વારા એક દિવસનાં ધરણાનો કાર્યક્રમ યોજાશે.
રાજય સરકારે ભારત સરકારનાં ધારાધોરણ મુજબ કર્મચારીઓને પગાર પંચનાં તમામ લાભો આપવાનો સૈધ્ધાંતીક સ્વીકાર કર્યો છે. હાલમાં કર્મચારીઓને સાતમું પગારપંચ સ્વીકારી ફકત પગારનો લાભ આપવામાં આવ્યો છે. જયારે અન્ય ભથ્થાઓ તથા લાભો છઠ્ઠા પગારપંચ મુજબનાં જુના દરે આપવામાં આવી રહ્યા છે. આ અંગે રાજયનાં 2૦ મહાસંઘો/મહામંડળોનાં હોદ્દેદારોએ અગાઉ માંગણીઓ અંગે નિરાકરણ લાવવા જણાવ્યું હતું. પરંતુ માંગ પૈકી 16-પડતર પ્રશ્નો બાબતે હજુ સુધી સરકાર દ્વારા કોઇ હકારાત્મક અભિગમ આપવામાં આવ્યો નથી. જેથી હવે સંકલન સમીતીનાં હોદ્દેદારોની કારોબારી મિટીંગમાં
છઠ્ઠી જાન્યુઆરીના રોજ ભરૂચ ખાતે દક્ષિણ ગુજરાત ઝોનનાં તમામ જીલ્લાનાં કર્મચારી સંઘના હોદ્દેદારો દ્વારા એક દિવસનાં ધરણાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. ત્યારબાદ રાજ્યના બાકી ઝોનમાં પણ આંદોલનના ભાગરૂપે ધરણા-રેલી સહિતના કાર્યક્રમો યોજાશે. તેમ કર્મચારી સંઘના અગ્રણી દેવમુરારી એ જણાવ્યું છે.




