- કાળઝાળ ગરમીમાં વીજવિક્ષેપથી લોકો ત્રાહિમામ
- ડીમ ફૂલ લાઈટથી ગ્રામજનોના કિંમતી વિદ્યૃત ઉપકરણોને થઈ રહેલુ વ્યાપક નુકશાન
મહુવાના પ્રગતિશીલ ઓથા ગામે આવેલા ૬૬ કે.વી. સબ સ્ટેશનમાંથી ઓથા સહિત આસપાસના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં વીજપુરવઠો પુરો પાડવામાં આવી રહ્યો છે. પી.જી.વી.સી.એલ.ના ઉચ્ચ પદાધિકારીઓની ઉદાસીનતાને લઈને વર્ષ દરમિયાન ઓથા સહિત આસપાસના અનેક ગામોના ટ્રાન્સફોર્મર,જમ્પર, વીજલાઈનનું જરૂરી સમારકામ (વાર્ષિક મેઈન્ટેનન્સ)ની કામગીરી હાથ ધરાતી નથી. આથી અહિના અનેક જમ્પર પર વેલાઓ, પાંદડાઓ સહિતના કચરાના ઢગલા ખડકાયેલા જોવા મળે છે. તેને લઈને પણ અહિંની રહેણાંકીય વસાહતોમાં વિજધાંધીયા રહેતા હોવાની લોકમુખે ચર્ચા થઈ રહી છે.અહિંના રામજી મંદિર પાસેના મહિ પરિએજના ટાંકા પાસેના ટ્રાન્સફોર્મરમાં ફોલ્ટ છે તેનુ કાયમી નિરાકરણ લાવવામાં અખાડા કરાય છે. વીજ ધાંધીયાના કારણે હિરાના કારખાના સહિતના એકમો ચાલુ બંધ હાલતમાં રહે છે.તેમજ સરકારી દવાખાના પાસેનું ટી.સી. આસપાસ બાવળના ઝુંડ વિસ્તરી રહ્યા હોય તે બાવળના ઝુંડમાં ઢંકાઈ ગયેલ છે. આ અંગે સરપંચના પ્રતિનિધિ દ્વારા ઉચ્ચ કક્ષાએ જાણ કરાઈ હતી.તેમ છતા હજુ સુધી તેનું પરિણામ ન મળતા લોકોમાં તંત્ર સામે સખ્ત નારાજગી જન્મી છે.


