Get The App

ઝુંડાલ બ્રીજ પાસે બાઇકની ટક્કરે ચાલતાં જઈ રહેલાં વૃદ્ધનું મોત

Updated: Mar 3rd, 2026

GS TEAM

Google News
Google News
ઝુંડાલ બ્રીજ પાસે બાઇકની ટક્કરે ચાલતાં જઈ રહેલાં વૃદ્ધનું મોત 1 - image

ગાંધીનગર નજીક અડાલજ ચાંદખેડા હાઇવે ઉપર

વૃદ્ધ બહેનના ઘરે જમવા જઈ રહ્યા હતા તે દરમિયાન અકસ્માતની ઘટના ઃ બાઈક ચાલક સામે ગુનો

ગાંધીનગર :  ગાંધીનગરના ઝુંડાલ ગામની સીમમાં ગત રવિવારે સાંજે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં પૂરઝડપે આવતી મોટરસાયકલે એક રાહદારી વૃદ્ધને અડફેટે લેતા તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. અડાલજ પોલીસે આ મામલે બાઇક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ગાંધીનગર શહેર તેમજ આસપાસમાં હાઇવે માર્ગો ઉપર અકસ્માતની ઘટનાઓ વધી રહી છે ત્યારે અડાલજ ચાંદખેડા માર્ગ ઉપર વધુ એક અકસ્માતની ઘટનામાં વૃદ્ધનું મોત થયું છે જે ઘટના સંદર્ભે પોલીસ સુત્રો માંથી મળતી વિગતો પ્રમાણે ઝુંડાલ ગામમાં રહેતા ૭૬ વર્ષીય બાબુભાઈ સોમાભાઈ પટેલ રવિવારે સાંજે આશરે સાડા સાત વાગ્યાના સુમારે ચાલીને ચાંદખેડા ખાતે પોતાની બહેનના ઘરે જમવા જઈ રહ્યા હતા. તેઓ જ્યારે અડાલજથી ઝુંડાલ બ્રીજ તરફ જવાના રોડ પર એલ.ઈ.ડી. લાઈટ કંપનીના શોરૃમ પાસેથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે સામેથી પૂરઝડપે આવી રહેલી મોટરસાયકલના ચાલકે તેમને જોરદાર ટક્કર મારી હતી.

આ અકસ્માતમાં બાબુભાઈને મોઢાના ભાગે અને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ ઘટનાસ્થળે લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા અને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે તેમને તાત્કાલિક ચાંદખેડાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે, ગંભીર ઈજાઓને કારણે સારવાર દરમિયાન ફરજ પરના ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. જે ઘટનાને પગલે મૃતકના ભાઈ મણીભાઈ સોમાભાઈ પટેલે અડાલજ પોલીસ સ્ટેશનમાં બાઇક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.