નાસિકમાં ભૂકંપ આવતા દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી! હિલ સ્ટેશન સાપુતારામાં 3.6 તીવ્રતાનો આંચકો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Earthquake Nashik And South Gujarat: મહારાષ્ટ્રના નાસિકમાં શનિવારે(8 ઑગસ્ટ) રાત્રિના સમયે 4.3ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા છે. ભૂકંપના આંચકા અનુભવાતા સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો હતો. નાસિકમાં ભૂકંપની અસરથી દક્ષિણ ગુજરાતમાં પણ ધરા ધ્રૂજી હોવાનું જણાય છે. જેમાં સાપુતારામાં 3.6 તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો છે.
નાસિકમાં 4.3 ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા
નાસિકના ગ્રામીણ વિસ્તારોમાં થોડા દિવસોથી ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જો કે, શનિવારે રાત્રે 10.10 વાગ્યે શહેરી વિસ્તારોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપના આંચકાને કારણે ઘણા વિસ્તારોમાં ઘરના વાસણો પડી જવાના બનાવો બન્યા છે. જેના કારણે નાગરિકોમાં ગભરાટ ફેલાયો હતો.
ભૂકંપના આંચકા નાસિક શહેરના ઇન્દિરાનગર વિસ્તાર, મેઈન રોડ વિસ્તાર, પંચવટી, હીરાવાડી, પાથર્ડી પાડા વિસ્તારમાં તેમજ કસારા ઘાટથી રામશેઠ કિલ્લા સુધીના શહેરી વિસ્તાર અને ગ્રામીણ વિસ્તારમાં અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા ઓછી હતી. જિલ્લા વહીવટીતંત્રે માહિતી આપી છે કે, 'રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.3 નોંધાઈ છે. તેથી નાગરિકોએ બિલકુલ ગભરાવું જોઈએ નહીં.'
સાપુતારામાં 3.6 તીવ્રતાનો ભૂકંપ
નાસિકમાં ભૂકંપ આવતા સુરત, તાપી, વલસાડ, ડાંગ સહિતના દક્ષિણ ગુજરાતમાં પણ ધરા ધ્રૂજી હતી. જેમાં સાપુતારામાં 3.6 તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો છે. જેમાં સાપુતારાથી 14 કિ.મી. દૂર ભૂકંપનું કેન્દ્ર નોંધાયું છે.
વારંવાર ભૂકંપ આવવાના કારણો
નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી(NCS) અનુસાર, આ ભૂકંપ હાઇડ્રો-સિસ્મિક પ્રવૃત્તિને કારણે આવ્યા હતા. જુલાઈ દરમિયાન નાસિકમાં ભારે વરસાદને કારણે પાણી સપાટી નીચે બેસાલ્ટ ખડકોના તિરાડોમાં ઊંડે સુધી ઘૂસી ગયું હતું. આનાથી પ્રવાહી દબાણમાં વધારો થયો, જેના કારણે ડેક્કન પ્લેટુ નીચે છુપાયેલા પ્રાચીન ભૂસ્તરીય ખામીઓમાં ફેરફાર થયો. પરિણામે, ઓછી તીવ્રતાના ભૂકંપ વારંવાર આવી રહ્યા છે.









