Gujarat

ચાર ટકાના વ્યાજે લીધેલા રૂપિયાની ઉઘરાણીથી કંટાળ્યો હતો: સજ્જુના ત્રાસથી યુ.પીવાસી ટેક્સટાઇલનો ધંધો બંધ કરી રીક્ષા ફેરવવા લાગ્યો

By GS Team
15 Feb 20222 mins read
This article was originally published on 15 Feb 2022
ચાર ટકાના વ્યાજે લીધેલા રૂપિયાની ઉઘરાણીથી કંટાળ્યો હતો: સજ્જુના ત્રાસથી યુ.પીવાસી ટેક્સટાઇલનો ધંધો બંધ કરી રીક્ષા ફેરવવા લાગ્યો




- ધંધાની સાથે ફોન પણ બંધ કરી દીધો, રહેણાંક બદલી અન્ય ઠેકાણે રહેવા ચાલ્યો ગયોઃ હજી પણ સજ્જુના નામ માત્રથી થરથર ધ્રુજે છે

સુરત
ટેક્સટાઇલના ધંધા માટે 4 ટકાના દરે રૂ. 15 લાખ વ્યાજે લેનાર ગોડાદરામાં રહેતા યુ.પીવાસી યુવાને નાનપુરાના માથાભારે સજ્જુ કોઠારીની ધાક-ધમકી અને ત્રાસથી કંટાળી ધંધો બંધ કરી રહેણાંક પણ બદલી નાંખ્યું હતું. ઉપરાંત રીક્ષા ચલાવવાનું શરૂ કર્યુ હતું પરંતુ હજી પણ સજ્જુની ધમકીથી થરથર ધ્રુજતો હોવાથી છેવટે અઠવાલાઇન્સ પોલીસમાં ફરીયાદ નોંધાવી છે.
ગોડાદરાના સુપર સિનેમા નજીક કૈલાશ નગરમાં રહેતા રીક્ષા ડ્રાઇવર ટીન્કુકુમાર ઉર્ફે પીન્ટુકુમાર જગદીશ મહંતો (ઉ.વ. 38 મૂળ રહે. બરહી, છપરા, યુપી) વર્ષ 2013-14માં ટેક્સટાઇલ વેપારી રાજેશ મુંદડાની દુકાનમાં નોકરી કરતો હતો ત્યારે ધંધાનું જ્ઞાન મેળવી લીધું હતું. વર્ષ 2015-16માં મંદી આવતા રાજેશે દુકાન બંધ કરી દેતા તેની પાસેથી ભાડેથી દુકાન લઇ અલગ-અલગ મીલોમાંથી નુકશાનવાળા કાપડના તાંકા ખરીદી તેમાંથી સારો માલ કાઢી લઇ નવા માલ તરીકે અને નુકશાની વાળો માલ કિલોના ભાવે વેચી દેતો હતો. દરમિયાનમાં ધંધા માટે આર્થિક જરૂરિયાત ઉભી થતા ટીન્કુએ ગુલામ ભોજાણી પાસેથી 4 ટકાના દરે રૂ. 15 લાખ વ્યાજે લીધા હતા. વ્યાજે રૂપિયા આપતી વખતે ગુલામે આ રૂપિયા સજ્જુ કોઠારીના છે અને સમયસર વ્યાજ નહીં આપશે તો હેરાન થઇ જશે એમ કહેતા ટીન્કુએ રૂ. 7 લાખ વ્યાજ સહિત ચુકવી દીધા હતા. દરમિયાનમાં ધંધો પડી ભાંગતા અને બેંકે શીલ મારી દેતા અંદાજે રૂ. 9 લાખથી વધુનો માલ દુકાનમાં જ શીલ થઇ ગયો હતો. જેથી સમયસર વ્યાજ નહીં મળતા સજ્જુ અને ગુલામે ઉઘરાણી શરૂ કરતા રૂ. 5.50 લાખના બે ચેક સજ્જુને તેના રહેણાંક ખાતેની ઓફિસે જઇ ટીન્કુએ આપી માફી માંગી હતી. ત્યાર બાદ ટીન્કુએ પોતાનો ફોન બંધ કરી દીધો હતો અને રહેણાંક પણ બદલી નાંખી ધંધો બંધ કરી રીક્ષા ફેરવવાનું શરૂ કર્યુ હતું. પરંતુ સજ્જુ અને ગુલામની ધમકીથી થરથર ધ્રુજતા ટીન્કુએ છેવટે પોલીસનું શરણ લીધું હતું.