- નેશનલ હાઇવે નંબર 48 પર અકસ્માત
- ચાલકને સારવાર અર્થે ખેડા સિવિલ ખસેડાયા હતા, પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી
નડિયાદ : નેશનલ હાઇવે નંબર ૪૮ પર કાજીપુરા સર્વિસ રોડ ઉપર શનિવારે સાંજે એક હોટલ નજીક ટ્રકે મોટરસાયકલને પાછળથી ટક્કર મારતા ગંભીર રીતે ઈજા પામેલા બાઈક ચાલકનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે ખેડા ટાઉન પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
બારેજા ખોડીયાર નગર સોસાયટીમાં રહેતા હાર્દિકકુમાર રોહિતભાઈ કાન્તીભાઈ પારેખ (શર્મા) કસ્ટ્રક્શનનો ધંધો કરે છે, જ્યારે તેમના પિતાજી રોહિતભાઈ કાન્તીભાઈ શર્મા જમીન લે-વેચનો ધંધો કરતા હતા. શનિવારે સાંજે રોહિતભાઈ પારેખ કાજીપુરા સીમ નેશનલ હાઈવે નં-૪૮ પર સર્વિસ રોડ પરથી મોટરસાયકલ લઈને જઈ રહ્યાં હતા ત્યારે ક્રિષ્ના હોટલ સામે મોટરસાયકલને પાછળથી ટ્રક ચાલકે ટક્કર મારતા બાઈક ચાલક રોહિતભાઈ કાંતિભાઈ પારેખને રોડ ઉપર પડી જતા શરીરે ગંભીર ઈજા થઇ હતી. જેથી તેઓને બેભાન હાલતમાં પોલીસની ગાડીમાં ખેડા સિવીલ હોસ્પિટલમાં લઇ જવામાં આવતા ફરજ ઉપરના તબીબે રોહિતભાઈ પારેખ (ઉં.વ. ૫૫)ને મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે હાર્દિકભાઈ રોહિતભાઈ પારેખની ફરિયાદ આધારે ખેડા ટાઉન પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.


